
જૂનાગઢ 15 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મંત્રીમનસુખ માંડવીયા અને સાંસદ રાજેશચુડાસમા ની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કોઓર્ડીનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદએ સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં અમલીકૃત વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમજ જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાઓના તબક્કામાં ભૌતિક સિદ્ધિ, ફાળવેલા લક્ષ્યાંક, પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ ન થયેલા કામો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના માર્ગોની મરામત, સોઈલ હેલ્થ કાર્ડ, મનરેગા ના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, વિકાસલક્ષી કામો ,સ્વામિત્વ યોજના સહિતની વિવિધ યોજનાઓ ની વિગતવાર સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય મંત્રી એ ખાસ કરીને અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે દરેક કામ સમય મર્યાદા અને ગુણવત્તા સાથે કામ થાય એ જરૂરી છે. તેમજ અધિકારીઓને વિવેકાધીન અધિકારનો ઉપયોગ કરીને વિવેકપૂર્ણ નિર્ણય લેવા અંગે જણાવ્યુ હતુ. જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ શકે.
નાગરિકોની વિવિધ સમસ્યાઓને લઈ જનપ્રતિનિધિઓ દ્વારા અધિકારીઓ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે જે રજૂઆતો કરવામાં આવે છે. તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ આવે એ દિશામાં કામ કરવા માટે સાંસદએ અધિકારીઓને જરૂરી સૂચનો આપી હતી.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજય કોરડીયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી ,ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જુનાગઢ પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ