
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આ નિર્ણયથી આરોપીની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. જામનગરના બેડેશ્વરમાં જનક ઓઇલ મિલ એન્ડ એક્સપોર્ટ ચલાવતા વિશાલ મોદી સામે એક મહિલાએ બળાત્કાર અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ આરોપી વિશાલ મોદી ધરપકડથી બચવા માટે જામનગર છોડીને નાસી છૂટ્યો હતો. છેલ્લા 15 દિવસથી ફરાર રહેલા આરોપીએ ધરપકડ ટાળવા માટે જામનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીનો ભોગ બનનાર મહિલાએ તેમના એડવોકેટ દિનેશભાઈ વિરાણી મારફતે કોર્ટમાં સખત વિરોધ કર્યો હતો. વકીલે દલીલ કરી હતી કે આરોપી સામે ગંભીર ગુનો છે અને તેની પાસેથી ભોગ બનનારના વીડિયો, ફોટા વગેરે કબજે કરવાના બાકી છે.
ઉપરાંત, પોલીસ કસ્ટડી દરમિયાન દુષ્કર્મનું સ્થળ શોધવાનું પણ બાકી છે. એડવોકેટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા. તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટે ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ નિર્ણયથી પોલીસ માટે આરોપીની ધરપકડ કરવાનો માર્ગ સ્પષ્ટ થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt