
અમરેલી, 17 નવેમ્બર (હિ.સ.) : બગસરાના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા અમરપરા વિસ્તારમાં આજે સવારે એક અજાણ્યા મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. જાણ થતાં જ બગસરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને પ્રાથમિક તપાસ શરૂ કરી. મૃતદેહ 30 વર્ષીય ધીરુભાઈ ખીમસુરીયા નામના યુવકનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહને તાત્કાલિક બગસરા હોસ્પિટલ ખાતે ખસેડ્યો, જ્યાં પ્રાથમિક તપાસ બાદ કોઈ સ્પષ્ટ કારણ સામે ન આવતા મૃતદેહને ભાવનગર ફોરેન્સિક પી.એમ. માટે મોકલવામાં આવ્યો છે. મૃત્યુનું સાચું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે. મૃતકના પરિવારજનોને જાણ કરી આપવામાં આવી છે પોલીસને આ ઘટનાને શંકાસ્પદ માનતા વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મૃતકના છેલ્લા દિવસોની હિલચાલ, મોબાઈલ ડેટા અને સ્થળ પર મળેલા પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તમામ દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે જેથી મોતનું રહસ્ય ઉકેલી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai