

ગાંધીનગર,17 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવોથી સામાન્ય માનવીની સુવિધા, સુખાકારીના કામો અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ નેમ સાકાર કરવી છે.
મુખ્યમંત્રી સી. એમ. ફેલોશીપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનમાં વિવિધ વિભાગોમાં કાર્યરત ૨૪ સી.એમ. ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ૨૦૦૯માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઈનોવેટિવ આઈડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ અપનાવેલા અભિગમને પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભીમુખ બનાવીને ટેકનોલોજીના ઉપયોગથી લોકહિતના કામો માટેના પથપ્રદર્શક ગણાવ્યો હતો.
“અમે સરકાર ચલાવવા નહીં દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ” એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણા વાક્યનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન આ વાતને ચરિતાર્થ કરીને દેશમાં અનેક બદલાવો લાવ્યા છે. વડાપ્રધાનએ ડિજિટલ ભારતથી ગ્રામીણ વિસ્તારો સુધી ડિજિટલ ટેકનોલોજી પહોંચાડીને લોકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા વિચાર સાથે વડાપ્રધાનએ ૨૦૦૯માં શરૂ કરાવેલો સી.એમ. ફેલોશીપ આજે રાજ્ય વહીવટમાં પ્રતિભાશાળી યુવાઓના યોગદાનનું બેસ્ટ પ્લેટફોર્મ બન્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ વિકસિત ભારત @ ૨૦૪૭ના આપેલા સંકલ્પને સાકાર કરવામાં આ વ્યવસ્થાઓથી ગુજરાતને અગ્રેસર રાખવા સૌના સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
આ એક દિવસીય શિબિરના પ્રારંભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્પીપા અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. સ્પીપાના ડાયરેક્ટર જનરલ હરિત શુક્લા અને આઈ.આઈ.એમ. ઈન્દોરના ડિરેક્ટર હિમાંશુ સિંઘે આ એમ.ઓ.યુ. પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. વિવિધ ૧૧ જેટલા વિષયોમાં પબ્લિક પોલીસી મેનેજમેન્ટ સંદર્ભે કેપીસીટી બિલ્ડીંગ તાલીમ કાર્યક્રમના સંયુક્તપણે આયોજન માટે આ એમ.ઓ.યુ. ઉપયોગ બનશે.
મુખ્ય સચિવ એમ.કે. દાસે સી.એમ. ફેલોશીપના ફેલો યુથના યોગદાન તથા રિસર્ચ અને કેસ સ્ટડીઝને ગુડ ગવર્નન્સ માટે ઉપયોગી ગણાવ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપને વધુ વેગ મળ્યો છે તેમ ઉમેર્યુ હતું.
આ એક દિવસીય શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓએ સી.એમ. ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. સી.એમ. ફેલોએ પોતાના પ્રેઝન્ટેશન્સ પ્રસ્તુત કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ કર્યુ હતું.
આ શિબિરના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ તથા સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સી.એમ. ફેલો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ