

પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) જ્ઞાનદાનને મહાદાન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યું છે. “વિદ્યા સર્વધન પ્રધાનમ” જેવા અખંડ સત્યને સાકાર કરતી પોરબંદરની રૂપાળીબા કન્યા શાળા દાતાઓની કરુણાવર્ષાથી અને માતા સરસ્વતી તથા માતા મહાલક્ષ્મીના આશીર્વાદોથી હંમેશાં ઉજાસિત રહી છે. અહીં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું પણ દાન મળે છે.આ જ પરંપરાને આગળ વધારતા,5 દિવસ શાળામાં વૈદિક ગણિત શિબિર યોજાઈ હતી.
પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વૈદિક ગણિત અને એક્યુપ્રેશરના નિષ્ણાત ટ્રેનર તરીકે ખ્યાતિ મેળવનારા કૌશિકપારેખ તથા ભાવના પારેખ દ્વારા પાંચ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને અત્યંત સરળ, રસપ્રદ અને પ્રાયોગિક રીતોથી વૈદિક ગણિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું.સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી વૈદિક ગણિતને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની તર્કશક્તિ, ઝડપ, ગણનક્ષમતા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ જ્ઞાન અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
નિષ્ણાત ટ્રેનરો દ્વારા આપવામાં આવેલ આ તાલીમ વિદ્યાર્થીઓ માટે “સોનામાં સુગંધ” સમાન બની.વૈદિક ગણિત સાથે-સાથે ભાવનાબેન પારેખ દ્વારા દીકરીઓને તેમના શારીરિક આરોગ્ય, માનસિક સુખાકારી તથા અંગત સમસ્યાઓ અંગે સંવેદનશીલ અને પ્રાયોગિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થયું.રૂપાળીબા કન્યા શાળા પરિવાર, આચાર્યના માર્ગદર્શન હેઠળ, આ સમગ્ર જ્ઞાનદાન સોપાન માટે કૌશિક પારેખ અને ભાવના પારેખનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો .
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya