
જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામમાં રહેતી પરણીતાએ સંતાન પ્રાપ્તિના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બબ્બે વખત કસુવાવડ થઈ ગયા બાદ પોતાને સંતાન પ્રાપ્ત થતું ન હોવાના કારણે મનમાં લાગી આવતાં પરિણીતએ પોતાનું જીવતર ટુંકાવી લીધું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રોલ પોલીસ મથકેથી આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામની સીમ વિસ્તારમાં વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મધુબેન અશોકભાઈ વાઘેલા (ઉ.વ.23) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે પતરાના એંગલમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
મધુબેનને અગાઉ બે વાર કસુવાવડ થઇ ગઇ હતી અને પોતાને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી સંતાન પ્રાપ્તિના વિયોગમાં તેણીએ આ પગલું ભરી લીધું હતું. આ બનાવની જાણ થતા જ પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી. તાત્કાલિક સગા-સંબંધીઓ અને આડોશ-પાડોશના લોકો પહોંચી ગયા હતા.
બીજી બાજુ પરિણિતાએ ગળેફાંસો ખાઇ આ અંતિમ પગલુ ભરી લીધા મામલે મધુબેન વાઘેલાના પતિ અશોક કાનાભાઈ વાઘેલાએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાંધ્યો હતો જેને પગલે ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને પરિણિતાના મૃતદેહનો કબજો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt