
ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ભાવનગર ઝોનની કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ નવી નિમણૂક પામેલ સી.એલ.ટી. (સીટી લેવલ ટેકનીકલ સ્ટાફ) સ્ટાફ માટેતાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનની કચેરીમાં માહે નવેમ્બર-2025 માં કુલ 29 સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. જેમાં સિવિલ ઈજનેરની 15 જગ્યા, એમ.આઈ.એસ. એક્સપર્ટની 7 જગ્યા, ફાઈનાન્સીયલ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટીંગ એક્સપર્ટની 6 જગ્યા, આઈ.ઈ.સી. એક્સપર્ટની 1 જગ્યાનો સમાવેશ થાય છે. આ તાલીમ પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ખાતે યોજવામાં
આવી હતી, જેમાં કચેરીમાં નવી નિમણૂક પામેલા 25 કર્મચારીઓએ ભાગ લીધો હતો.
પ્રાદેશિક કમિશનરની હાજરીમાં સી.એલ.ટી. સ્ટાફના કૌશલ્યવર્ધન માટે સરકાર દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ કાર્યરત બેનિફિશીયરી લેડ કન્સટ્રક્શન, એફોર્ડેબલ હાઉસીંગ ઈન પાર્ટનરશીપ, ઈન્ટરેસ્ટ સબસિડી સ્કીમ અને એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ જેવા વિવિધ ઘટકોથી સ્ટાફ માહિતગાર થાય અને નાગરિકોને યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થાય તે હેતુથી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પી.એમ.એ.વાય. યોજનાના અમલીકરણ માટે કાર્યરત પોર્ટલ પર કઈ રીતે અરજી કરવી, કઈ રીતે જીઓ ટેગીંગ કરવું અને કેવી રીતે અરજી પરત ખેંચવી જેવી વિવિધ કામગીરી અંગે પ્રાદેશિક કમિશનર કચેરીના અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ રોમીત ડી. રૈયાણી દ્વારા કર્મચારીઓને વિગતવાર સમજ આપી હતી. તેમજ કચેરીની કાર્યપદ્ધતિ માટે સરકાર દ્વારા વિકસાવામાં આવેલ ઈ-સરકાર પોર્ટલ અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગરની કચેરી દ્વારા વિકસાવવામાં આવેલ કોમ્પ્રીહેન્સી ગ્રીવન્સ રીડ્રેસલ મેનેજમેન્ટ સિસ્ટમની સમજ આપવામાં આવી હતી તથા તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ ડેમોન્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતુ.
પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત ભાવનગર ઝોનમાં બી.એલ.સી ઘટક હેઠળ 10753 લાભાર્થીઓને લાભાર્થી દીઠ 3.50 લાખની સબસીડીની સહાય આપવામાં આવી હતી. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માં બી.એલ.સી. ઘટક હેઠળ 9617 લાભાર્થીઓની નોંધણી થયેલ છે અને તે પૈકી 3113 લાભાર્થીઓની અરજી મંજૂર થઈ ગઈ છે. જેમને લાભાર્થી દીઠ 4 લાખની સહાય મળવા પાત્ર છે.
રાજ્યના નાગરિકોને શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત આવાસો પોષણક્ષમ ભાવે મળી રહે તથા ગુજરાતના શહેરી વિસ્તારને ઝૂંપડપટ્ટી મુકત બનાવવાના સંકલ્પને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2013-14માં મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત કરવામાં આવેલ. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો અસરકારક અમલ શરૂ કરી
વર્ષ 2015માં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) - હાઉસીંગ ફોર ઓલ સાથે સંકલિત કરી 15 ફેબ્રુઆરી,2016 થી રાજ્યમાં ગૃહ નિર્માણ યોજના અમલી બનાવવામાં આવેલ છે.શહેરી વિસ્તારમાં થયેલ વિસ્તરણને કારણે શહેરોમાં આવાસોની માંગમાં વધારો થયેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ