
- રોડ પર પાર્ક કરેલા 137 વાહનો લોક કરી દીધાં, લારીઓ ઉપાડી લીધી
અમદાવાદ,3 નવેમ્બર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારી ગલ્લાઓના દબાણથી લઈને નો પાર્કિંગમાં અને રોડ પર વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર રોડ પર ટ્રાફિક મુદ્દે ટકોર કરવામાં આવે છે. રોડ પર લારી ગલ્લાના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ પર વાહન પાર્કિંગને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી.ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી નજીક આવતા જ કામગીરી જોવા મળી હતી.
આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સંયુક્ત રીતે શહેરના એસજી હાઇવેથી પકવાન ક્રોસ રોડથી થલતેજ ક્રોસ રોડથી ગોતા ક્રોસ રોડથી વૈષ્ણોદેવી સર્કલ સુધી તથા પકવાન ક્રોસ રોડથી જજીસ બંગલો રોડથી માનસી સર્કલ ચાર રસ્તાથી કેશવબાગ ચાર રસ્તા સુધીના રોડ પર લારી ગલ્લાના દબાણ અને ગેરકાયદેસર રીતે રોડ પર વાહન પાર્કિંગને લઈને ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ડ્રાઇવમાં લોકો બેફામ રીતે રોડ ઉપર વાહન મૂકી જતા હોવાનું સામે આવ્યું હતું.
કુલ 137 જેટલા વાહનો ગેરકાયદેસર રીતે રોડ પર પાર્કિંગ કરેલા મળી આવતા તેને લોક મારી દેવામાં આવ્યા હતા. રૂ. 93,800નો દંડ પણ વસુલ્યો છે. લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકી દેતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધારે જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ડ્રાઇવ માત્ર એક દિવસ પૂરતી જ જોવા મળે છે.
હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ હાઇકોર્ટની સુનાવણી નજીક આવતાની સાથે જ કામગીરી કરવા લાગી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ અને એસ.જી 1- 2 ટ્રાફિક પોલીસ અને એ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કરવાથી લઈને રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને લઈ ડ્રાઇવ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા મુખ્ય પાંચ રોડ ઉપર દબાણને લઇ ટકોર કરવામાં આવી હતી. ત્યારે એસજી હાઇવે પર પકવાન ચાર રસ્તાથી થલતેજ ક્રોસ રોડ થઈ વૈષ્ણોદેવી સર્કલ સુધી કરવામાં આવેલી આ ડ્રાઈવમાં રોડ પર રહેલી લારીઓને દૂર કરવામાં આવી હતી કેટલીક જગ્યાએ રોડ ઉપર જ લારીઓ અને ફૂડ સ્ટોલ લગાવીને વેચાણ કરતા લારીઓ અને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. રોડ ઉપર પણ વાહનો મૂકી અને જતા રહેતા હોવાના કારણે ટ્રાફિક થતા હોવાથી ગાડીઓ અને મોટા વાહનોને પણ પોલીસે લોક મારી દીધા હતા.
અમદાવાદના માત્ર એસજી હાઇવે, થલતેજ અને વસ્ત્રાપુર જ નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારો નારણપુરા, ઘાટલોડીયા, ચાંદલોડિયા, ગોતા, જમાલપુર, ખમાસા, લાલ દરવાજા, ચાંદખેડા, સાબરમતી, નવાવાડજ, વાડજ, ગીતામંદિર, કાલુપુર, દરીયાપુર શાહપુર, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા, વિરાટનગર, ઓઢવ, વટવા, જશોદાનગર, મણિનગર અને શહેરના કોટ વિસ્તારમાં પણ એસજી હાઇવે કરતાં પણ વધારે પ્રમાણમાં લોકો લારી ગલ્લાના દબાણ અને રોડ ઉપર વાહન પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે ત્યારે સંયુક્ત રીતે આ વિસ્તારોમાં પણ ડ્રાઇવ કરવાની જરૂરિયાત છે. જોકે માત્ર દેખાડા પૂરતી એક દિવસની ડ્રાઇવ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ