
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.)અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ બાદ રામપારાયણ કથાઓ અને રામલલ્લાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ પવિત્ર ધાર્મિક વાતાવરણ વચ્ચે હારીજ તાલુકાના ગોવના સાધુ પરિવાર દ્વારા રામપારાયણ યજ્ઞકથાનો પ્રારંભ મહંત કથાકાર શ્રી વિષ્ણુદાસ બાપુના વ્યાસપીઠ પરથી 7 નવેમ્બરના રોજ થયો હતો, જ્યારે પુર્ણાહુતી 11 નવેમ્બરના રોજ યોજાશે.
કથાનું રસપાન કરવા હારીજ તાલુકા તેમજ પાટણ આસપાસથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા છે. કથાના ત્રીજા દિવસે ભગવાન શ્રી રામના પૃથ્વી પર મનુષ્ય અવતાર લેવાના ચાર મુખ્ય કારણોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં ભક્તોનો ઉમળકો જોવા મળ્યો હતો.
વ્યાસપીઠ પરથી વિષ્ણુદાસ બાપુએ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આદર્શ જીવનને પોતાના જીવનમાં ઉતારવા શ્રોતાઓને પ્રેરણા આપી હતી. તેમણે પિતા-પુત્ર, ભાઈ-ભાઈ અને વડીલો પ્રત્યેની મર્યાદા, સત્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાનું મહત્વ સમજાવ્યું હતું, જેથી જીવનમાં રામના આદર્શો જીવંત રહી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ