
પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના સિંચન માટે ગુજરાત સરકારની પ્રેરક પહેલના ભાગરૂપે, પોરબંદર જિલ્લામાં આજે ગીતા જયંતિનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરવાનો અને બાળકો તેમજ વડીલો સૌને તેનાથી પરિચિત કરવાનો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારે જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષાના વિકાસ અને અધ્યાપનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ પણ 'મન કી બાત' કાર્યક્રમમાં સંસ્કૃતના મહત્વ પર ભાર મૂક્યો છે.
આ ઉજવણી દરમિયાન પોરબંદર જિલ્લામાંથી અનેક પ્રતિભાશાળી વ્યક્તિઓ સામે આવ્યા, જેમાંથી 6-7 વર્ષના નાના બાળકો સહિત કેટલાક વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આખો 12મો અધ્યાય કંઠસ્થ કર્યો હતો. વધુમાં, ત્રણ જેટલા યુવાનો એવા હતા જેમને ગીતાના તમામ 700 શ્લોકો યાદ છે. આ ઉપરાંત, કેટલાક વ્યક્તિઓ 'સુભાષિત સપ્તકમ્'ના 100 જેટલા સુભાષિતોનું માત્ર એકાદ ચરણ સાંભળીને આખું સુભાષિત બોલી શકવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આ કાર્યક્રમની સફળતા પર સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગીતા જયંતિની આ ઉજવણી થકી બાળકોમાં સંસ્કારોનું સિંચન થશે. આ પ્રયાસો પોરબંદર જિલ્લાની આગામી પેઢીને આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિના વારસા સાથે જોડવામાં મદદરૂપ થશે.
ભવિષ્યમાં રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાશે, ત્યારે પોરબંદર જિલ્લામાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય રજૂ કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya