
જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : જામજોધપુર પંથકમાં પાંચ દિવસમાં હત્યાનો બીજો બનાવ બહાર આવતા ચકચાર વ્યાપી છે, પરડવા સીમમાં કુવામાંથી લાશ મળી આવતા 20 દિવસ પૂર્વે હત્યા નિપજાવ્યાની હકીકતો સામે આવતા ચકચાર વ્યાપી છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. પાપ છાપરે ચડીને પોકારે, તે રીતે દુર્ગંધ આવતાં આખરે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું, અને કોથળામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાયો હતો, અને મૃતકની ઓળખ થઈ હતી. તેની પત્ની અને સાળાએ જ હત્યા નિપજાવી હોવાનું સામે આવતાં પોલીસે બંને સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને અટકાયત કરી લીધી છે. પોતાની આગલા ઘરની પુત્રીઓ સાથે મૃતક અડપલાં કરતો હોવાના કારણે આ હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશન ભાભોર છેલ્લા કેટલાક દિવસથી લાપતા બન્યો હતો, અને તેની પત્ની રાધાબેન તેમજ તાજેતરમાં જ તેમની સાથે કામ કરવા માટે આવેલો રાધા બેનનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે કે જે બંનેએ મૃતક સોહમ પોતાના વતનમાં ગયો છે, તેવું વાડી માલિકને જણાવ્યું હતું. ત્યારબાદ વાડીમાં અજગર નીકળે છે, તેવા બહાનાઓ બતાવીને બીજી વાડીમાં કામ કરવા માટે બન્ને ચાલ્યા ગયા હતા.
દરમિયાન ગઈકાલે બાજુની વાડીના ખેડૂતોને કુવામાં દુર્ગંધ આવતી હોવાથી તેઓએ 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમને બોલાવી લીધી હતી, અને તપાસણી કરતાં કોથળામાંથી બે માનવના પગ દેખાયા હતા. ત્યારબાદ કોથળાને બહાર કઢાવીને ચેક કરતાં તેમાંથી સોહમ રામકિશન ભાભોરનો કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસ તંત્ર ચોકી ગયું હતું.
દરમિયાન જામજોધપુરના પી.આઈ. એ. એસ. રબારી અને તેઓની ટીમે મૃતક ની પત્ની રાધાબેન અને પત્તલસિગ કે જેઓ અન્ય વાડીમાં કામ કરતા હતા, તે બંનેને બોલાવીને તેઓની પૂછપરછ કરતાં આખરે તેઓ બંનેએ જ આ હત્યા નિપજાવી હોવાનું અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ અને પથ્થર સાથે કોથળામાં બાંધી કૂવામાં ફેંકી દીધો હોવાની કબુલાત આપી હતી.
મૃતકની પત્ની રાધાએ જણાવ્યું હતું કે પોતાની સાથે સોહમના લગ્ન અગાઉ પણ લગ્ન થયા હતા જે પૈકી બે પુત્રીઓ જન્મી હતી, જે પોતાની સાથે રહેતી હતી. બનાવની રાત્રે આગલા ઘરની પુત્રીઓને સોહમ અડપલા કરી હેરાન પરેશાન કરી રહ્યો હોવાથી ઉસકેરાટમાં આવી જઈ, રાધાબેન અને તેના ભાઈ પત્તલસિંગે સાથે મળીને લાકડાના ધોકાથી સોહમને માર મારી પતાવી દીધો હતો, પુરાવાનો નાશ કરવાના ભાગરૂપે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકીને પોતે બીજી વાડીમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, તેમ આખરે મામલો સામે આવી ગયો હતો, અને પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા વાડી માલિક નગાભાઈ ભીખાભાઈ જાડેજાની ફરિયાદના આધારે તેના ખેત મજુર સોહમની હત્યા નીપજાવવા અંગે સોહમની જ પત્ની રાધાબેન અને તેના સાળા પત્તલસિંગ ઉર્ફે રાહુલ ગુલસીંગ ધારવે સામે હત્યા અંગે અને પુરાવાનો નાશ કરવા સંબંધેની જુદી જુદી કલમો હેઠળ નોંધ્યો છે. બન્નેને અટકમાં લઇ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt