

પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)ખારેડા ગામે સંત ગણેશરામ મહારાજના નેતૃત્વ હેઠળ વ્યસનમુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં દર રવિવારે સાંજે ભવ્ય ભજન-સત્સંગ મેળાવડો યોજાય છે, જ્યાં લોકો વ્યસન છોડવા માટે પ્રેરણા અને માર્ગદર્શન મેળવે છે.
છેલ્લા એક વર્ષમાં આ પ્રયાસોથી આશરે 50 પરિવારો ગુટખા, દારૂ અને અફીણ જેવા હાનિકારક વ્યસનોમાંથી મુક્ત થયા છે. આ પરિવારોના સભ્યો હવે અન્ય લોકોને પણ વ્યસનમુક્ત થવા માટે પ્રેરણા આપી રહ્યા છે.
ખારેડા સહિત આસપાસના ગામોમાં યુવા વર્ગમાં વ્યસનનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેના કારણે અનેક લોકો અકાળે મૃત્યુ પામે છે અને તેમના નાના બાળકો અને પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગામના લોકો અને સરપંચ બંને આ અભિયાનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે અને સમગ્ર ગામને વ્યસનમુક્ત બનાવવા માટે સંકલ્પ કર્યો છે. આ પ્રકારના સામાજિક કાર્યથી ગામ અને સમાજનો સર્વાંગી વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ