
ગીર સોમનાથ 16 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ પ્રાદેશિક કમિશનર, ભાવનગર ઝોનના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સોર્સ સેગ્રીગેશન અંગે જાગૃતી કાર્યક્રમો યોજાયા હતાં. જે ઉપક્રમે આગામી સમયમાં “સેગ્રીગેટેડ ટુડે, શાઇન ટૂમોરો“ થીમ સાથે સોર્સ સેગ્રીગેશનનું પ્રમાણ વધારવા તરફ આયોજન કરાશે.
સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વોર્ડ નં ૧માં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને વિસ્તારની મહિલાઓને ભીનાં-સુકાં કચરાના વર્ગીકરણનું મહત્વ અને જરૂરિયાત સમજાવી, સ્વચ્છતા સંબંધીત વિવિધ માપદંડોના અમલીકરણ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
આ તકે સેનિટેશન ઇન્સ્પેકટર હરદીપસિંહ ખેરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશનના પ્રથમ પગલાં તરીકે તમામ નાગરિકો ડોર ટુ ડોર કલેક્શન વાહન અને ડસ્ટબિનનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હવે આગળ વધતાં આજના સમયમાં સોર્સ સેગ્રીગેશન એ ખૂબ જ મહત્વની બાબત છે, નાગરિકોમાં આ બાબતે જાગૃતતા લાવવા નગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ વિવિધ વિસ્તારોમાં જઇ લોકોને સોર્સ સેગ્રીગેશનના મહત્વ અંગે લોકોને માહિતગાર કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ