

પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.)નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ પોરબંદર તાલુકાના ખિસ્ત્રી, બખરલા અને ઓડદર ક્લસ્ટરના સ્વયં પ્રેરિત ખેડૂતો માટે એક દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.), ખાપટ ખાતે યોજાઈ હતી.
આ તાલીમ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કે.વી.કે., ખાપટના સિનિયર સાયન્ટિસ્ટ તથા કોલેજ ઓફ એગ્રીકલ્ચર, પોરબંદરના પ્રિન્સિપાલ વદર દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તેમજ રવિ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જમીનની સ્વાસ્થ્ય જાળવણી, ખર્ચ ઘટાડા અને ઉત્પાદન વૃદ્ધિ અંગે ખેડૂતોને ઉપયોગી માહિતી આપી હતી.
તદુપરાંત, બીઆરસી તથા તેમના દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ઘટકોનો, કાર્યક્ષમ રીતે ઉપયોગ કેવી રીતે કરવો, તેની પ્રક્રિયા અને તેનાથી મળતા ફાયદાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya