

પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા ખનન વિજ્ઞાની અને ભારતીય ખાણ બ્યુરો–ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજ માઈનોર મિનરલમાંથી મેજર મિનરલમાં તબદિલ થવા બાબતે આજે જિલ્લા કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જિલ્લાનાં લીઝ હોલ્ડરોને રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું, કઈ તારીખ સુધી સમયમર્યાદામાં ભરવું, ખનિજ ધારકોને થતા લાભો, મંથલી રીટર્ન તથા એન્યુઅલ રીટર્ન ભરવાની પ્રક્રિયા તેમજ માઈનીંગ પ્લાન સબમિશન સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેમ્પમાં અંદાજે 70 જેટલા ખનિજ ધંધાર્થીઓએ હાજરી આપી હતી અને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ પ્રશ્નોના સ્થળ પર જ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માર્ગદર્શન સુનીલકુમાર શર્મા, વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યારે પ્રેઝેન્ટેશન જિજ્ઞેશ પરમાર, આસિસ્ટન્ટ માઈનીંગ એન્જિનિયર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખાણ સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ કિરણ પરમાર તથા મિતેષ મોદી, ભૂવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યા હતા.આ માર્ગદર્શન કેમ્પથી લીઝ હોલ્ડરોને નિયમનકારી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મળી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya