
અમરેલી,2 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ત્રંબકપુર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક વ્યાપ્યો હતો. પાંચ દિવસ પહેલા પરપ્રાંતિય મજૂરની 1 વર્ષની બાળકી પર દીપડાએ ભયાનક હુમલો કરી તેને ફાડી ખાધેલી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાયો હતો. ગામલોકોમાં ભયનો માહોલ એટલો વધ્યો કે સાંજ પડતાં જ લોકો ઘરે સિમટાઈ જતા અને બાળકોને ઘરે બહાર નીકળવા મનાઈ કરવામાં આવી હતી.
વીલંબ વિના વનવિભાગે દીપડાની શોધખોળ શરૂ કરી અને ગામ તથા આસપાસના વિસ્તારોમાં અનેક પાંજરા ગોઠવાયા. સતત મોનિટરિંગ અને પ્રયાસો બાદ અંતે વનવિભાગને મોટી સફળતા મળી છે. માનવભક્ષી બની ગયેલા આ દીપડાને આજે સવારે પાંજરે પૂરવામાં આવ્યો છે. આ વખતે વન કર્મચારીઓએ સચોટ આયોજનથી દીપડાને સલામત રીતે કાબૂમાં લીધો.
દીપડો પકડાતા ત્રંબકપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં લોકોએ મોટા શ્વાસ સાથે રાહત અનુભવ્યો છે. ગામલોકોએ વનવિભાગના ઝડપી પગલાં અને તાત્કાલિક કાર્યવાહી માટે આભાર વ્યક્ત કર્યો છે. હવે દીપડાને સુરક્ષિત રીતે અન્યત્ર સ્થળાંતર કરવામાં આવશે. વનવિભાગે ગ્રામજનોને સાવચેત રહેવાની અને કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai