
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર તાલુકાના નાની પીંપળી ગામે જૂની પોલીસ ફરિયાદની અદાવતમાં એક આધેડ ખેડૂત પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ખેડૂતને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, 50 વર્ષીય ખેડૂત બાબુભાઇ ઠાકોર તા. 21/12/2025ના રોજ સવારે ગામની એક દુકાન પાસે ખેતી માટે મજૂર શોધી રહ્યા હતા. તે સમયે ગામના જ રામસીભાઇ ઠાકોરે અગાઉની અદાવતને કારણે ઝઘડો શરૂ કરી તેમને અપશબ્દો કહ્યા હતા.
રામસીભાઇએ બાબુભાઇને જમીન પર પાડી માર માર્યો હતો. ત્યારબાદ સામંતભાઇ ઠાકોર લાકડી સાથે, પ્રવિણભાઇ ઠાકોર ધારીયા સાથે અને વિનયભાઇ ઠાકોર ત્યાં આવી પહોંચ્યા હતા અને ચારેયએ ભેગા મળી ખેડૂત પર હુમલો કર્યો હતો.
બૂમાબૂમ થતા ગ્રામજનો દોડી આવતા હુમલાખોરો ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ