
પાટણ, 21 ડિસેમ્બર (હિ.સ.) : હારીજના જાણીતા ઉદ્યોગપતિ અને દેશી લોહાણા સમાજના પ્રમુખ ફરશુરામભાઈ ડાહ્યાભાઈ ઠક્કરનું રવિવારે સવારે હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન થયું. તેમના નિધનથી હારીજ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ફરશુરામભાઈ ઠક્કર હારીજ નગરના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને ‘ભામાશા દાનવીર’ તરીકે ઓળખાતા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં તેઓ વિશેષ આદર પામ્યા હતા. તેઓ મિતેશભાઈ ઠક્કરના પિતા હતા અને તેમના અવસાનથી પુત્રો નિલેશભાઈ, મિતેશભાઈ, શૈલેષભાઈ તેમજ સમગ્ર પરિવાર અને સમાજમાં દુઃખ વ્યાપ્યું છે.
તેમની અંતિમયાત્રા આજે બપોરે 1:00 કલાકે જલિયાણ ગ્રીન સોસાયટી સ્થિત નિવાસસ્થાનેથી હારીજ મુક્તિધામ તરફ નીકળશે, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમાચાર મળતા જ વેપારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ