
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલી અને ગ્રામીણ ગરીબો માટે આશીવાદ સમાન 'મનરેગા' યોજનાને સંસદમાં સત્તાના જોરે બંધ કરી દેવાના નિર્ણય સામે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે સાંજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરના ચાંદી બજાર રોડ પર આવેલા પૂજ્ય બાપુના બાવલા પાસે એકત્ર થયેલા કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નડતરરૂપ થતા હોવાના કારણે આઠ આગેવાનોની અટકાયત કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી નેતા દિગુભા જાડેજા અને ઘવલ નંદાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હારની ભાજપ સરકાર માત્ર મૂડીપતિઓનું હિત વિચારે છે અને ગરીબ તથા મધ્યમ વર્ગને કચડવાનું કામ કરી સ્ક્રી છે. પૂજ્ય ગાંધીજીના નામ પરથી ચાલતી આ યોજના ગરીબોના રોજી-રોટીનો આધાર હતી, જેને બંધ કરીને સરકારે પોતાની ગરીબ વિરોધી માનસિક્તા છતી કરી છે.
કોંગ્રેસી નેતાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સત્તાના નશામાં ચૂર થઈને આર.એસ.એસ.ની વિચારધારા ધરાવતા લોકો ગરીબલક્ષી યોજનાઓનો ભોગ લઈ રહ્યા છે. આ અન્યાયી નિર્ણય સામે કોંગ્રેસ આગામી સમયમાં પણ અહિંસક અને ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ કરવા ચીમકી આપી હતી. આ દેખાવમાં મહામંત્રી ભરત વાળા, તોસિફ પઠાણ, પ્રદેશ મહામંત્રી સહારા મકવાણા, શકિતસિંહ જેઠવા, પાર્થ પટેલ, કાસમ જોખિયા, મહિપાલસિંહ જાડેજા, હરીશ ચૌહાણ તેમજ આગેવાનો કાર્યકમમાં જોડાયા હતા. પોલીસે ટ્રાફિકને નડતરરૂપ થતા હોવાના કારણે આઠ આગેવાનોની અટકાયત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt