
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ફલાય ઓવર ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ ફલાય ઓવરના જનતા ફાટક રોડવાળા છેડે અકસ્માત સર્જાતા આ ફ્લાય ઓવરમાં ચડવા-ઉતરવાના ચારેય પોઈન્ટ પાસે નાના સર્કલ કે અકસ્માત નિવારતી વ્યવસ્થા ઉભી કરવાની જરુરીયાત સામે આવ્યા બાદ એક માસ થવા આવ્યો છતાં તંત્ર દ્વારા કોઈ ઘટતી કાર્યવાહી પુર્ણ કરવામાં આવી નથી.
જામનગરમાં રાજકોટ તરફથી પ્રવેશતા ટ્રાફીકને સુભાષ બીજ તરફથી સીધું સાત રસ્તા, જનતા ફાટક કે ખંભાળીયા રોડ પકડવા ઓશવાળ સેન્ટર તરફનો રસ્તો મળી રહે તે માટે રૂ.227 કરોડના ખર્ચે બનેલા ફ્લાય ઓવરમાં ચડવા ઉતરવાના ચાર રેમ્પ (ઢાળીયા) બનાવવામાં આવેલા છે. તા.24મીએ લોકાર્પણ બાદ તા. 25ની સવારે જ ઢાળીયો ચડવા માટે અચાનક વળેલા ઓલેરો અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી.
જેનાથી આ ફુલાય ઓવરના છેડે અકસ્માત નિવારવા સર્કલ બનાવવા કે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની જરુરીયાત સામે આવી હતી. પરંતુ એક નાના અકસ્માતમાંથી ધડો રહીં લેનાર તંત્ર બીજા અકસ્માતોની રાહ જોતું હોય તેમ હજી સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
સુભાષ બ્રીજ પાસે સુભાષબાબુની પ્રતિમા પાસે રાજકોટ તરફથી આવીને અમુક વાહનો સર્વીસ રોડમાં જાય છે. તો અમુક ઢાળીયો ચડીને ફ્લાય ઓવર પકડે છે. જેના કારણે શહેરમાં ત્રણ દરવાજા તરફથી આવતો અને ભાષ બ્રીજ જતો ટ્રાફીક અવરોધાય છે.
આટલું ઓછું હોય તેમ સાત રસ્તા તરફથી સર્વીસ રોડમાંથી આવીને તુરંત જ ફ્લાય ઓવર ચડવા માંગતા વાહનો પણ સીધે સીધા વળી જાય છે. જેને કારણે ઢાળ ઉપરથી સ્પીડમાં આવતા વાહનો અવરોધાય છે. તંત્ર દ્વારા માત્ર સુભાષ બ્રીજના છેડે જ નહીં પરંતુ સાત રસ્તા સર્કલના બે ઢાળીયા, ઓશવાળ સેન્ટર છેડો અને જનતા ફાટક તરફનો છેડો એમ તમામ સ્થળે યોગ્ય રોડ એન્જિનિરીંગ એપ્લાય કરવું એ સમયની માંગ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt