
વલસાડ, 23 ડિસેમ્બર (હિ.સ.)-વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો અને આત્મા તથા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતુ, જેમાં ખેતી ખર્ચમાં ઘટાડો, રસાયણમુક્ત-ગુણવત્તાયુક્ત ઉત્પાદન, માનવ આરોગ્યની સુરક્ષા, જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકયો હતો. સરકાર દ્વારા FPO, માર્કેટિંગ સુવિધાઓ તથા “પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ” અને “નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ” જેવા ઉપક્રમો દ્વારા ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાના અનુભવો જણાવ્યા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર સી.આર.પી અને કૃષિ સખીને સન્માનિત કરવામાં આવ્યા અને શ્રેષ્ઠ પંચસ્તરીય મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ ધારાસભ્યએ વલસાડ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલની મુલાકાત લીધી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે