
વલસાડ, 23 ડિસેમ્બર (હિ.સ.)-વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા એક વૃદ્ધનું, તેમના પોતાના ઘરમાં કરુણ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. શારદામણી એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 302માંથી 82 વર્ષીય મોહનભાઈ કિશનલાલ એન્જિનિયરનો મૃતદેહ બાથરૂમમાં ડીકંપોઝ હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મૃતક છેલ્લા ઘણા દિવસોથી બહાર દેખાયા ન હોવાથી પાડોશીઓમાં શંકા ઊભી થઈ હતી. 22 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે લગભગ 9:30 વાગ્યે ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આથી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
જાણ મળતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાડોશીઓની હાજરીમાં ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાનું જણાયું હતું. દરવાજો તોડીને જોતા મોહનભાઈનો મૃતદેહ ડીકંપોઝ હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મોહનભાઈ એકલા રહેતા હોવાથી તેમના મૃત્યુની સમયસર કોઈને જાણ થઈ ન હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે