
જૂનાગઢ, 23 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી પદયાત્રાનું સોરઠની ભૂમિ પર સર્વ સમાજના સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓએ ભાવભેર સ્વાગત- અભિવાદન કર્યું હતું. જનકલ્યાણ શિવવંદના પદયાત્રાએ બપોરનો પડાવ ચોકી ખાતેના ગંગામાં આશ્રમ ખાતે કર્યો હતો, અહીં મંત્રીએ રામદેવજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે જનસભાને સંબોધતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ઘેલા સોમનાથથી તા.૨૦ ડિસેમ્બરે પૂજ્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં અને ઘેલા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના સાથે શરૂ થયેલી પદયાત્રા સોરઠની પાવનભૂમિ પર પહોંચી છે, ભગવાન ભોળાનાથ ની પ્રેરણાથી રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિ તથા જનકલ્યાણની નેમ સાથે શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા દ્વારા કેન્દ્ર - રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચે, સામાજિક સમરસતા કેળવાઈ, આ સાથે જ યાત્રા દરમિયાન જુદા જુદા વિસ્તાર અને સમાજના લોકોને મળવાથી તેમની રજૂઆતો અને જનસામાન્યની મુશ્કેલીઓ જાણવાનો અવસર પ્રાપ્ત થયો છે. જેથી રાજ્યની જનતાના સુખાકારી અને સેવા કાર્યોને વેગ આપી શકાય.
તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો દેશને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાના સંકલ્પ છે. તેમાં જન ભાગીદારી પણ એટલી જ જરૂરી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, શ્રદ્ધા લાગણી અને પવિત્ર ભાવ સાથે શરૂ થયેલી પદયાત્રાનો ચોથો દિવસ છે તેમ છતાં ઉર્જા ઓછી નહીં પરંતુ વધી છે. તેમણે પદયાત્રીકોના ઉત્સાહને પણ બિરદાવ્યો હતો, ઉપરાંત ટ્રાફિક નિયમન અને સ્વચ્છતા જાળવવા અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા પણ પદયાત્રીકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રાજ્યના લોકોના કલ્યાણ અને સુખાકારીની ઉદ્દેશ સાથે શરૂ થયેલી જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો પવિત્ર સંકલ્પ સાકાર થાય તેની શુભકામના પાઠવતા અને પદયાત્રાને સોરઠની ભૂમિ પર આવકારતા જણાવ્યું હતું કે, ૨૧૯ કિલોમીટરની આ પદયાત્રામાં સેકડો લોકો જોડાયા છે, અને નવી ઉર્જા મેળવી છે. તેમણે એમ પણ કહ્યું કે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી પુરવઠા મંત્રી તરીકે પાણી વિતરણ માટેના જે સબ સ્ટેશનનો હતા તેની મુલાકાત કરી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું. તેમની સમાજને કંઈક આપવા માટેની નેમ અને જનસેવા માટેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. અગ્રણી ગણેશભાઈ જાડેજાએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રજાકીય કામો માટેની ખેવનાને બિરદાવી હતી. આ પ્રસંગે પદયાત્રિકાના ઉત્સાહને બિરદાવતા તેમનું પણ સ્મૃતિચિન્હથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ જનકલ્યાણ શિવવંદના પદયાત્રાનો ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.૨૭ ડિસેમ્બરના રોજ ધ્વજા ચડાવવાની સાથે સમાપન થશે. જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને આવકારવા માટે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારી અધિકારી પહોંચ્યા હતા. આ પ્રસંગેરાજ્ય સરકારની જનકલ્યાણકારીની જુદી જુદી યોજનાઓ સંદર્ભે જાગૃતિ પ્રસરે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ઉપરાંત એન.આર.એલ.એમ. યોજના હેઠળ લાભાર્થીઓને કેશ ક્રેડિટની સહાય અર્પણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ