



પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર શહેરમાં વસતા ચૌધરી સમાજ દ્વારા રાજપુરના ખડાલીયા હનુમાનજી મંદિર ખાતે 13મું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા મજબૂત કરવાનો અને સંગઠન શક્તિ વધારવાનો હતો. વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમાજના મોટી સંખ્યામાં ભાઈ-બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન અભ્યાસ અને અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય વક્તા તરીકે લેખક ડૉ. કેશુભાઈ દેસાઈ તથા બાલાજી હોસ્પિટલના હરેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં શિક્ષણના મહત્વ અને સમાજની પ્રગતિ માટે એકતાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
સ્નેહમિલન કાર્યક્રમના અંતે સમૂહ ભોજન સમારંભનું આયોજન કરાયું હતું, જેના દાતા સ્વ. સંતોકબેન કેશુભાઈ દેસાઈ (ચૌધરી) પરિવાર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સિદ્ધપુર શહેર ચૌધરી સમાજના હરેશભાઈ ચૌધરી, રાહુલભાઈ ચૌધરી, વિપુલભાઈ ચૌધરી સહિત તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ