
જૂનાગઢ, 26 ડિસેમ્બર (હિ.સ.) : સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને કેશોદ ખાતે કેશોદ તથા માંગરોળમાં નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર કેશોદ અને માંગરોળ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત યોજાયું હતું. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ફાળવેલ સહાય માંથી માંગરોળ ડેપો વર્કશોપ માટે રૂપિયા ૬૬૬ લાખ અને કેશોદ માટે રૂપિયા ૬૫૨ લાખના ખર્ચે આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચર વાળા સુવિધા યુક્ત નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તેમજ અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત યોજાયું હતું.
આ પ્રસંગે ભારત રત્ન અટલ બિહારી વાજપાઈજીના જન્મદિન નિમિત્તે મંત્રી એ તેમનું સ્મરણ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ના હસ્તે કેશોદ નગરપાલિકાના સરકારના ૧૫ માં નાણાપંચ ૨૦૨૨-૨૩ ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર ૨ માં હિન્દુ સ્મશાન ખાતે ઈલેક્ટ્રીક ભઠ્ઠી ના રૂપિયા ૪૨ લાખના કામનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મંત્રીએ કેશોદ સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી. અને વ્યવસ્થાઓ નું નિરીક્ષણ કર્યું હતું.તેમજ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા.
આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, ધારાસભ્ય દેવા માલમ, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા,સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ જયતાભાઇ સિમોરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, એસટી જુનાગઢ વિભાગ નિયામક વી.બી. ડાંગર, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ