




પોરબંદર, 26 ડિસેમ્બર (હિ.સ.) : શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય, અડગ સાહસ અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં સમગ્ર દેશની સાથે પોરબંદર જિલ્લામાં પણ 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક ગાંધી સ્મૃતિ ભવન ખાતે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા પોરબંદર મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ એ માત્ર ઐતિહાસિક ઘટનાની સ્મૃતિ નથી, પરંતુ અન્યાય સામે અડીખમ ઊભા રહેવાની પ્રેરણા આપતો અવસર છે. ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓએ જે નાની ઉંમરે ધર્મ અને રાષ્ટ્ર કાજે બલિદાન આપ્યું, તે અમર ઇતિહાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરી નવી પેઢી સુધી આ શૌર્યગાથા પહોંચાડી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વીરતા એટલે માત્ર યુદ્ધના મેદાનમાં લડવું એવું નથી, પરંતુ આજના સમયમાં આપણે સ્વચ્છતા જાળવીને, પર્યાવરણનું રક્ષણ કરીને અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીઓ નિભાવીને પણ વીરતા દાખવી શકીએ છીએ. પોરબંદરના બાળકો શિક્ષણ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવી જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન પોરબંદરના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં તેઓએ પોતાની કલાત્મક શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ગાયન, લોક નૃત્ય અને વક્તવ્ય દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલાત્મક પ્રવૃતિઓ, ગાયન સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા સહિતની 14 સ્પર્ધાઓ યોજાઈ હતી. આમ, પોરબંદર જિલ્લામાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી માત્ર એક સ્મૃતિરૂપે નહીં, પરંતુ નવી પેઢીમાં મૂલ્ય શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાના મક્કમ નિર્ધાર સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya