
અમરેલી, 28 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી શહેરની અમર ડેરી ખાતે બ્રહ્માકુમારી અમરેલી ના ઉપક્રમે એક પ્રેરણાદાયી મોટિવેશન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેરીના કર્મચારીઓ તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અશ્વિનભાઈ સાવલિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “સકારાત્મક વિચારધારા જ માનવીને જીવનમાં પ્રગતિ, શાંતિ અને સંતોષ આપે છે. વિચાર બદલાય તો જીવન પણ બદલાય છે.” તેમણે કર્મક્ષેત્રમાં પોઝિટિવ અભિગમ રાખવાની મહત્વતા ઉપર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે બી.કે. રૂપેશ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં પોઝિટિવિટી, મનની શાંતિ અને આધ્યાત્મિક અવલોકન દ્વારા તણાવમુક્ત અને સુખમય જીવન કેવી રીતે જીવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ધ્યાન, આત્મચિંતન અને સકારાત્મક વિચારો દ્વારા કાર્યક્ષમતા અને માનસિક સંતુલન વધે છે તેવા ઉદાહરણો પણ તેમણે રજૂ કર્યા હતા.
સેમિનારના અંતે ઉપસ્થિતોએ કાર્યક્રમને અત્યંત લાભદાયી ગણાવ્યો હતો. આવા પ્રેરણાદાયી કાર્યક્રમો કર્મચારીઓમાં ઉત્સાહ, એકાગ્રતા અને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai