
પાટણ, 3 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા સુધારવા મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી પડતર અને ગંદકીથી ભરેલા ખાનગી પ્લોટ્સને કારણે રોગચાળાનો ભય છે. પાલિકા પ્લોટ માલિકોને નોટિસ પાઠવી સમયાંતરે પ્લોટની સફાઈ જાળવવા સૂચના આપશે.
બેઠકમાં પ્રમુખ હિરલબેન પરમાર અને સ્વચ્છતા ચેરમેન હરેશભાઈ મોદીએ સ્વચ્છતા વિભાગના અધિકારીઓ સાથે શહેરની સ્થિતિ પર ચર્ચા કરી. સેનેટરી ઇન્સ્પેકટર, સિટી મેનેજર અને વોર્ડ ઇન્સ્પેકટરો પણ હાજર રહ્યા. પાલિકાએ નોટિસ દ્વારા પ્લોટ ધારકોને પોતાની મિલકત પર સફાઈ અને ફેન્સિંગ જાળવવા જાગૃત કરવાની યોજના તૈયાર કરી છે.
શહેરમાં રખડતા ઢોર અને શાકભાજી લારીઓના દબાણને નિયંત્રિત કરવા માટે પોલીસના બંદોબસ્ત, લારીઓ માટે નિશ્ચિત પોઈન્ટ, બજારમાં કચરાગાડી ફેરવવાની સમયસૂચી અને હોટલ વેપારીઓ પાસેથી કચરો વસૂલવાની વ્યવસ્થા કરાશે.
સ્વચ્છતા શાખામાં કર્મચારીઓની સંખ્યા ૬૦ સુધી વધારવામાં આવશે, તેમજ સાધનોના રિપેરિંગ, લાઈટ અને ટાયરોની ખરીદી કરવામાં આવશે. ખાણી-પીણીના સ્ટોલનો સર્વે કરીને પાવતી વગર કોઈને ઊભા રહેવા ન દેવાની પણ યોજના છે. આ પગલાંઓના અમલથી પાટણ શહેરની સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો લાવવાની આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ