
- ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે નાયબ દંડક વિજય પટેલ સહિત સમગ્ર વિધાનસભા પરિવારે ડૉ. તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી
ગાંધીનગર,3 ડિસેમ્બર (હિ.સ.) સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદની 141મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજય પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ 3 ડિસેમ્બર-1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન 1907થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન 1917થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન 1920માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો.
તેઓ આઝાદીની લડતમાં અંત સુધી ગાંધીજીના અતિવિશ્વાસુ સાથીદાર તરીકે કાર્યરત રહ્યા હતા.
તેમણે બિહારમાં, વિદ્યાપીઠ સ્થાપવામાં તથા ખાદી પ્રચારના કામમાં પણ અથાગ પરિશ્રમ કર્યો હતો. આ ઉપરાંત તેમણે “ઇન્ડિયા ડિવાઈડેડ” જેવા અન્ય પુસ્તકોનું લેખન કર્યું છે. સાથે જ, તેમણે બંધારણસભાના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી.
આજના આ ગૌરવશાળી દિવસે તેમના તૈલીચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ-ગાંધીનગર અને આર્મી પબ્લિક સ્કૂલ-અમદાવાદના વિદ્યાર્થીઓ પણ વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ