
પોરબંદર, 4 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના દરિયામાં ભારે પવનને કારણે તોફાની મોજાએ એક પીલાણાને પલ્ટી મરાવી દેતા તેમાં રહેલ એક ખલાસીનું મોત થયુ છે જ્યારે અન્ય માચ્છીમારો બીજી બોટમાં ચડી ગયા હોવાથી બચી ગયા છે.
મૂળ વલસાડ તથા હાલ પોરબંદર રહેતા જીતેન્દ્ર ભગવાનજી ટંડેલે નવીબંદર મરીન પોલીસમથકમાં એવુ જાહેર કર્યું છે કે પોરબંદરના જુના બંદરમાં જુની જી.એમ.બી. ઓફિસની સામે જીતેન્દ્રભાઇની ‘કુદાનીસાગર’ નામની નાની બોટ (પીલાણુ)માં માચ્છીમારી કરવા આવેલ વલસાડના નાની દાંતી ગામના બળવંતભાઇ લાલજીભાઇ ટંડેલ ઉ.વ. 68 અન્ય માચ્છીમારો સાથે પીલાણામાં ફિશીંગ કરવા નીકળ્યા હતા.તા. 2-12 ના પોરબંદરના જૂના બંદરથી 15 નોટીકલ માઇલ દૂર પહોંચ્યા ત્યારે રાત્રે દશેક વાગ્યાના સુમારે દરિયામાં ભારે પવનના કારણે મોટુ મોજુ પીલાણા સાથે અથડાતા તેમનુ પીલાણુ પલ્ટી ખાઇ ગયુ હતુ. જેમાં બળવંતભાઇ ટંડેલ દરિયાના પાણીમાં ડૂબી ગયા હતા જ્યારે અન્ય ખલાસીઓ બીજી બોટમાં ચડી ગયા હતા અને દરિયાનું પાણી પી જવાથી તેમજ શિયાળાની કાતિલ ઠંડીમાં પવનને કારણે ધ્રુજારી આવવાથી બળવંતભાઈ ટંડેલને સારવાર માટે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતુ. આગળની તપાસ નવીબંદર મરીન પોલીસ ચલાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya