

પાટણ, 4 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCB એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ વડલારા ગામે બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. LCB એ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળી કુલ 3,22,893 રૂપિયાનું મૂલ્ય ધરાવતા મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.
મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી 58,000 રૂપિયાના દાગીના અને 1,00,000 રૂપિયા રોકડની ચોરી થઈ હતી. જ્યારે પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી 12,000 રૂપિયા રોકડ, 19,000 રૂપિયાના દાગીના અને 2,000 રૂપિયાની સોનાની વીંટી સહિત કુલ 1,91,000 રૂપિયાની ચોરી થઈ હતી. બાતમી મળતા LCB ટીમે અરજણસર ગામના તળાવ પાસે મુદ્દામાલ વહેંચવા ભેગા થયેલા શંકાસ્પદોને વોચ દ્વારા ઝડપી પાડ્યા.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ સહઆરોપી ઠાકોર સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ રહે. અરજણસરની મદદથી 21/11/2025ના રોજ મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરમાં ચોરી કર્યાની કબૂલાત કરી. આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમરતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ અલ્હાબાદ ગામના વતની હોવાથી તેમણે ઘરની રેકી કરી હતી. ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તમામે મળીને ચોરી અંજામ આપી હતી. ચોરી કરેલા ચાંદીના છતર ઓગાળી ચોરસા બનાવવામાં આવ્યા હતા જેથી તે સરળ રીતે બજારમાં વેચી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ