

મહેસાણા, 4 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બહુચરાજી યાત્રાધામમાં યાત્રાળુઓને શુદ્ધ, સુરક્ષિત અને હાઇજેનિક ખોરાક મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDA)–મહેસાણાએ બુધવારે ખાસ કાર્યવાહી હાથ ધરી હતી. ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત ટીમે રેસ્ટોરન્ટ, નાસ્તાહાઉસ, પાણિપુરીની લારીઓ, હોકર્સ, પ્રસાદીની સ્ટોર સહિત કુલ 17 ખાદ્ય પેઢીઓની વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન 12 નમુનાઓ લેવામાં આવ્યા છે, જેને લેબ પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
ટીમે સ્થળ પર જ એફ.એસ.ડી.એ. વાન દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ પણ હાથ ધર્યા હતા, જેથી ખાદ્ય ગુણવત્તા અંગે તાત્કાલિક મૂલ્યાંકન થઈ શકે. અધિકારીઓનું કહેવું છે કે યાત્રાધામમાં આવતા હજારો ભક્તોને શુદ્ધ અને સલામત ખોરાક ઉપલબ્ધ રહે તે માટે આ કામગીરી અત્યંત જરૂરી છે.
હોટેલ–રેસ્ટોરન્ટ અને નાસ્તાહાઉસમાં સ્વચ્છતા, સાત્વિકતા અને હાઇજિન જળવાય તે દિશામાં FDAની ટીમ સતત કાર્યરત રહે છે. અગાઉ 20 નવેમ્બર 2025ના રોજ પ્રસાદ સ્ટોર્સની વિશેષ તપાસ પણ કરવામાં આવી હતી. તાજેતરની કાર્યવાહીથી વેપારીઓને પણ ચેતવણી મળી છે કે નિયમોનું પાલન ફરજિયાત છે, નહીં તો કડક પગલાં લેવામાં આવશે.
બહુચરાજી યાત્રાધામમાં વધતા પગલે FDAની આ કામગીરી યાત્રાળુઓના આરોગ્ય માટે મહત્વપૂર્ણ અને આવકાર્ય માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR