
પોરબંદર, 5 ડિસેમ્બર (હિ.સ.) : પોરબદર જિલ્લામાં હાલ P.C. & P.N.D.T. ACT નું રજીસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાંથી જે સંસ્થાઓ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોય તેવી કુલ-18 કલીનિકો, હોસ્પિટલ, સંસ્થાઓ કાર્યરત છે. આ રજીસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓમાંથી જે સંસ્થાઓ એન્ટીનેટલ સોનોગ્રાફી કરતી હોય તેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ ફરજીયાત 30 દિવસના ઓડીયો-વિડિયો રેકોર્ડિંગ (24×7 કલાક) બેકઅપ સાથે સી.સી.ટી.વી કેમેરા લગાવવાના હેતુસર પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે. બી. વદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
જાહેરનામાં અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં P.C. & P.N.D.T. ACT અન્વયે નોંધાયેલ કલીનીકોમાં ફરજીયાત 30 દિવસના (24×7 કલાક) ઓડિયો વિડીયો બેકઅપ સાથે સી.સી.ટી.વી. કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નકકી કરેલ અધિકૃત વ્યકિત/દર્દી સિવાયની બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ કરી શકશે નહી. સોનોગ્રાફી રૂમની અંદર કે જયાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવી શકાશે નહી. નકકી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતાં કે બહાર નીકળતી વ્યકિતઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સી.સી.ટી.વી કેમેરા લગાવવાના રહેશે. જો સોનોગ્રાફી રૂમના આવન-જાવન નાં દરવાજા અલગ અલગ હોય તો બંને સાઇડ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે.
કોઇ હોસ્પીટલ, કલીનીક, સંસ્થા ખાતે એકથી વધુ ડોકટર હોય તેવી હોસ્પીટલ કલીનીક, સંસ્થા ખાતે તમામ ડોકટરની ચેમ્બર કે જયાં સોનોગ્રાફી મશીન હોય તેવા તમામ ડોકટરની ચેમ્બરની બહારના દરવાજાનાં ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. આ બાબત વીઝીટીંગ ડોકટરના કીસ્સામાં પણ લાગુ પાડવાની રહેશે. સંબંધિત ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રિએટ ઓથોરીટીશ્રી ધ્વારા જરૂર જણાયે જયારે પણ રેકોડીંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજીયાત આપવાનું રહેશે તેમજ આપેલ બેકઅપમાં કોઇ ત્રુટી જણાયે સબંધિત હોસ્પીટલ, કલીનીક, સંસ્થાની જવાબદારી નકકી કરી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-1994 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ હુકમ તા.01/12/2025 થી તા.29/01/2026 (બન્ને દિવસો સહિત) સુધીના સમગ્ર સમયગાળા સુધી પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.તમામને વ્યક્તિગત રીતે હુકમની બજવણી કરવી, કરાવવી શક્ય ન હોઈ આથી એક તરફી ફરમાવવામાં આવે છે.
આ હુકમ અન્વયે પોરબંદર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, પોરબંદર અથવા તેના તાબાનાં સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya