

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે બે દિવસીય “અર્થ સમિટ 2025-26”
ગાંધીનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય “અર્થ સમિટ 2025-26”નો શુભારંભ કરાવ્યો હતો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત અર્થ સમિટ એકસ્પોનું કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીએ ઉદઘાટન કરીને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો આપનાર ક્ષેત્ર બનાવવા માટે ત્રણ ‘અર્થ સમિટ’ની શ્રેણી આયોજન કરવામાં આવ્યું છે. જેની દ્વિતીય આવૃત્તિનું મહાત્મા ગાંધીની ભૂમિ – ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. ભારતના વિકાસની પરિકલ્પના તેના ગ્રામીણ વિસ્તારને બાજુમાં રાખીને ક્યારેય ન થઇ શકે, તેમ મહાત્મા ગાંધીજીએ આઝાદી પહેલા જ કહ્યું હતું. દુર્ભાગ્યવશ ગ્રામીણ વિકાસના ત્રણ મહત્વપૂર્ણ અંગ કૃષિ, પશુપાલન અને સહકાર ક્ષેત્રને આઝાદી બાદના અનેક વર્ષો સુધી નજર અંદાજ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2014માં વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મહાત્મા ગાંધીના મંત્રને પુનર્જીવિત કરવા માટે આ ત્રણેય ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકીને દેશમાં નવા પરિવર્તનની શરૂઆત કરી હતી. દેશની 80 ટકા વસ્તીનું ભવિષ્ય નિર્ધારિત કરતા ગ્રામીણ વિકાસ, કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ આ ત્રણેય મંત્રાલયના સંયુક્ત બજેટમાં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ત્રણ ગણો વધારો કર્યો છે. વર્ષ 2014માં આ ત્રણેય મંત્રાલયનું સંયુક્ત બજેટ રૂ. 1.02 લાખ કરોડ હતું, જે વર્ષ 2025- 29માં રૂ. 3.15 લાખ કરોડથી વધુ થયું છે, તેમ કેન્દ્રીય સહકારિતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અમિત શાહે કહ્યું હતું કે, દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે ભારત પ્રથમ નંબરે હોય, તેવો સમગ્ર દેશવાસીઓનો સંકલ્પ છે. આ પૂર્ણ વિકસિત ભારતની કલ્પના દેશના દરેક નાગરિકની સુખાકારી વિના શક્ય નથી. નાગરિકોની સુખાકારી અને સહકારી ક્ષેત્રના વિકાસ માટે આવનારા સમયમાં દેશની દરેક પંચાયત દીઠ એક સહકારી સંસ્થા તેમજ સમગ્ર દેશમાં 50 કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો બનાવીને દેશની GDPમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
અર્થ સમિટની થીમ “એમ્પવારીંગ રૂરલ ઇનોવેશન ફોર ગ્લોબલ ચેન્જ”નો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું હતું કે, નાના-નાના બદલાવો અને નાવાચારથી ગ્રામીણ ક્ષેત્રનો દેશના અર્થતંત્રમાં ફાળો તથા નાગરીકોની સુવિધાઓ કઈ રીતે વધી શકે? તે દિશામાં ચિંતા, ચિંતન અને પરિણામલક્ષી ચર્ચાઓ કરવી એ જ આ અર્થ સમિટનો મુખ્ય લક્ષ્ય છે. આ સમિટના અમૃત ચિંતનથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાના અનેક મોટા પડકારોનો ઉકેલ લાવી શકાશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, આગામી વર્ષે દિલ્હી ખાતે અર્થ સમિટની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ ત્રણેય આવૃત્તિ પૂર્ણ થયા બાદ દેશના ગ્રામીણ અર્થતંત્રના વિકાસનો મજબૂત પાયો નાખવામાં આવશે અને દેશના સહકારી ક્ષેત્રને વધુ પારદર્શી, સર્વસમાવેશી અને નફાકારક બનાવવામાં આવશે.
અર્થ સમિટમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ ડેલીગેટ્સ, 1200થી વધુ કોર્પોરેટ્સ, 500થી વધુ નિષ્ણાત વક્તાઓ, 300થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૨૫૦થી વધુ એક્ઝિબીટર્સ, 50થી વધુ ઇન્વેસ્ટર્સ જોડાયા હતા તેમજ 30થી વધુ વર્કશોપ-માસ્ટર ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ પણ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શાહે સ્પષ્ટ કર્યું હતું કે, ટેકનોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકે નહીં, પરંતુ નાની કો-ઓપરેટિવ મંડળીઓ માટે સોફ્ટવેર ડેવલપ કરવું અને ડેટા સ્ટોરેજનો ખર્ચ કરવો શક્ય નથી. આ પડકારના સમાધાન સ્વરૂપે, નાબાર્ડ દ્વારા 'સહકાર સારથી' પહેલ હેઠળ 13થી વધુ વિવિધ ડિજિટલ સેવાઓ પોર્ટલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવી છે, જેમાં સહકાર સારથી, સહકાર સેતુ, સંગ્રહ સારથી વગેરેનો સમાવેશ થાય છે.
આ પહેલ ગ્રામીણ, જિલ્લા અને અર્બન કો-ઓપરેટીવ બેંકોને એક છત નીચે લાવીને, તેમને ખાનગી બેંકોની સમકક્ષ આધુનિક ટેકનોલોજી પૂરી પાડશે. આ ટેકનોલોજી વસુલી, લીગલ ડોક્યુમેન્ટેશન અને KYC જેવી કામગીરીમાં મદદરૂપ થશે. શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ 'સહકાર સારથી' એપ, જે કો-ઓપરેટીવ બેન્કિંગ એક્ટ હેઠળ તૈયાર કરાઈ છે, તે RBIના તમામ નિયમો-માપદંડ પૂર્ણ કરવામાં નિર્ણાયક સાબિત થશે અને આવનારા સમયમાં ઇ-કેસીસી (e-KCC) તેમજ કિસાન ક્રેડીટ કાર્ડ ધારકોને મોંઘા ક્રેડીટ કાર્ડ જેટલી સુવિધાઓ પૂરી પાડશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં બનાસકાંઠા અને પંચમહાલમાં કો-ઓપરેશન એમોંગ્સ કો-ઓપરેટિવનો એક સફળ પ્રયોગ કરાયો છે. જે અંતર્ગત દરેક કો-ઓપરેટિવ સંસ્થાનું બેંક એકાઉન્ટ અને તેની બચત કો-ઓપરેટિવ બેન્કમાં જ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ પ્રયોગના આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે અને કો-ઓપરેટીવ બેન્કોમાં હજારો કરોડની લો કોસ્ટ ડિપોઝિટ વધી છે. આ મોડલના સફળ પ્રયોગમાં ધ્યાને આવેલી નીતિ વિષયક બાબતોમાં સુધારા-વધારા સમગ્ર દેશમાં આ મોડલ અમલમાં મૂકવામાં આવશે.
મંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક આરોગ્ય માટે અતિજરૂરી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. આજે દેશમાં 49 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમના ઉત્પાદનોની વિશ્વસનિયતા માટે ભારત ઓર્ગેનિક્સ અને અમૂલ ઓર્ગેનિક્સ સાથે મળીને ભારત સરકાર લેબોરેટરીની આખી ચેઇન બનાવી રહી છે. દરેક ખેડૂત તેમના ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય સ્તરનું ઓર્ગેનિક ટેસ્ટિંગ કરાવીને ભારત સહિત સમગ્ર વિશ્વના બજારમાં તેનો નિકાસ કરી શકશે. તાજેતરમાં જ અમૂલ ઓર્ગેનિક દ્વારા 40 ખાદ્ય વસ્તુઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોના વૈશ્વિક બજારમાં વર્ષ 2030 સુધીમાં ભારતનો હિસ્સો 20 ટકાથી વધુ અને વર્ષ 2035 સુધીમાં 40 ટકાથી વધુ હશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ સહકાર ક્ષેત્રના વિકાસની દિશામાં સહકાર ટેક્સીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં સહકાર ટેક્સી દેશની સૌથી મોટી ટેક્સી કંપની બનશે. દિલ્હીમાં તાજેતરમાં શરુ કરાયેલા ટ્રાયલમાં જ અત્યાર સુધીમાં 51000 ડ્રાઈવરોએ નોંધણી કરાવી દીધી છે. તેવી જ રીતે, આગામી સમયમાં સહકાર ક્ષેત્ર કો-ઓપરેટિવ ઈન્સ્યોરન્સ પણ લાવવા જઈ રહ્યું છે, જે દરેક ગામમાં ત્રણ યુવાને રોજગારી આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્થ સમિટની બીજી આવૃત્તિના ગાંધીનગર મહાત્મા મંદિર પરિસરમાં થયેલા આયોજનને યોગ્ય સમયનું આયોજન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કૃષિ, ગ્રામીણ, માનવતા અને નવાચારના સશક્તિકરણ માટે યોજાઇ રહેલી આ દ્વિ દિવસીય સમિટ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવવાના વિચારોને સુસંગત છે.
આ સમારોહ દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે સહકાર સારથી પહેલ તેમજ તેની ડિજિટલ સેવાઓ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના “સ્ટેટ ફોકસ પેપર ઓફ ગુજરાત 2026-27” અને નાબાર્ડ-BCGના “ગ્રામીણ બેન્કિંગ કા ભવિષ્ય વિષય પરના સંશોધન પત્રનું વિમોચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલ, કેન્દ્રીય સહકારીતા મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભુટાની, રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, બેન્કર્સ, ઉદ્યમીઓ તેમજ મોટી સંખ્યામાં સહકારીતા ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો - ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ