
જામનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત 5 ડિસેમ્બરે જામનગરમાં બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. જોકે, પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે.
જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બે કોર્પોરેટર અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આપમાં જોડાયા હતા.
જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં 'આપ'ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો હતો, અને તેને ઢિકાપાટુનો માર પણ માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને ઇજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા સમયે સમગ્ર ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મારી પાર્ટીની સભાના સંબોધન દરમિયાન અચાનક અનેક પોલીસ વાળા સ્ટેજની નજીક આવવા લાગ્યા, જે મને પણ અજીબ લાગ્યું. હું પણ પોલીસમાં હતો એટલે પોલીસની મોમેન્ટ મને ખબર હોય. અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ મારા પર જૂતું ફેક્યું. તુરંત પોલીસ આવી અને પોલીસ તેને બચાવીને લઈ ગઈ. મારા કાર્યક્રમમાં જૂતું ફેંકવાથી જનતાનું શું ભલું થશે. જનતાનો પ્રેમ જોઈએ તો જનતાના કામ કરો. મારા પર જૂતા ના ફેંકો.'
આખરે આ જૂતું ફેંકનાર વ્યક્તિ મીડિયા સમક્ષ આવ્યો હતો. જેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમના પર ગોપાલ ઈટાલિયા દ્વારા જાહેર સભા દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને (છત્રપાલસિંહ) વસવસો રહી ગયો હતો, અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો, અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt