
- રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા સિવિલ પરિસરમાં આશરે 55 કરોડના ખર્ચે 150 બેડની અત્યાધુનિક હૉસ્પિટલનું નિર્માણ થશે : ધારાસભ્ય કસવાલા
- સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 109 વખત રક્તદાન કરનારા પ્રવિણ સાવજનું મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું
અમરેલી, 6 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે રાજ્ય સરકાર દ્વારા કે.કે. મહેતા સિવિલ હોસ્પિટલમાં બ્લડબેંક ના નવ્ય પ્રકલ્પનો રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે શુભારંભ થયો હતો. આ અવસરે શહેરના સેવાભાવી સદભાવના ગૃપ દ્વારા શિવદરબાર આશ્રમના ઉષામૈયાની પ્રેરણાથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સાવરકુંડલાવાસીઓ એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી નાગરિકોના નિરામય ભવિષ્યનો સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસની નવી કેડી કંડારતા અમરેલી જિલ્લાને હંમેશા ઉદાર હાથે સહાયતા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષમાન યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 5-5 લાખની સહાય આપી નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે. વર્ષો પહેલા સાવરકુંડલાની બ્લડ બેંકની માંગ પુરી કરી રાજ્ય સરકારે પ્રથમ સરકાર સંચાલિત બ્લડબેંક સાવરકુંડલાને આપી છે.
આ પ્રસંગે આયોજિત રક્તદાન કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કરનારા દાતાઓને રાજ્યમંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રક્તદાનએ લોહીનું અનોખું સગપણ છે. રક્તદાન દ્વારા એક પરિવારનું જીવન બચી શકે છે અને જીવનની નવી જ્યોત પ્રજવલ્લિત થાય છે.
રક્તદાનની કિંમત કટોકટીના સમયમાં સમજાય છે. આ પ્રસંગે રાજ્ય મંત્રીએ અમરેલી જિલ્લાને પ્રથમ સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલિત બ્લડબેંકની ભેટ આપવા બદલ રાજ્ય સરકાર અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે બ્લડબેંકને ધરાતળ પર કાર્યરત કરવા માટે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રાસંગિક ઉદ્ધોધન કરતા જણાવ્યું હતું કે, સાવરકુંડલા શહેરની આ સિવિલ હૉસ્પિટલને રાજ્ય સરકારે પ્રથમ સરકારી બ્લડબેંક મંજૂર કરી સમગ્ર વિસ્તારનો પ્રશ્ન હલ કર્યો છે. આ હૉસ્પિટલના પરિસરમાં આગામી દિવસોમાં 55 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 150 બેડની નવી બિલ્ડીંગ બાંધવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
સાવરકુંડલાની શખાવતી પ્રવૃત્તિ અને સેવાભાવી સંસ્થા સદભાવના દ્વારા આયોજિત રક્તદાન કેમ્પથી આ બ્લડબેંકની શરૂઆત નાગરિકોને જરૂરિયાતના સમયે મદદ કરશે.
આ કાર્યક્રમમાં 109 વખત રક્તદાન કરનારા પ્રવિણ સાવજનું મંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધોરાજિયા, સર્વે સભ્યો અને નગરના અગ્રણીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ