



પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગની ટીમ દ્વારા માધવપુર વિસ્તારમાં વિશેષ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. માધવરાય મંદિર તથા ચોપાટી વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કુલ 21 પેઢીઓની તપાસ કરવામાં આવી.
આ ચેકીંગ દરમિયાન દાઝેલું તેલ, વાસી ભાત, નુડલ્સ, ચટણી, બટેટા, ડુંગળી, લોટ, પંજાબી ગ્રેવી, ચણા, મન્ચુરિયન સહિતની અખાદ્ય તથા માનવ આરોગ્યને હાનિકારક એવી વિવિધ વસ્તુઓનો કુલ 95 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
તપાસ અભિયાન દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ–2006 મુજબ તમામ વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઇજીનિક ફૂડ હેન્ડલિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભવિષ્યમાં સ્વચ્છતા જાળવીને સુરક્ષિત અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો વેચાણ કરવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya