
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામે ખેડૂતોને ખેતીમાં આર્થિક બચત સાથે વધુ ઉત્પાદન મેળવવા માટે આત્મા કચેરી પાટણ દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો. આત્મા કચેરીના મેનેજર કુલદીપ દેસાઈએ ખેડૂતોને આધુનિક અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણના વડા ઉમેશ પટેલે રવી ઋતુની વાવણી વખતે રાખવાની કાળજી, જમીનની પસંદગી, યોગ્ય બીજ, તેમજ રોગ-જીવાત નિયંત્રણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. ઉપરાંત, ખેતીનો ખર્ચ ઘટાડવા માટેના અસરકારક ઉપાયો પર પણ ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમનું સફળ આયોજન આત્મા કચેરીના આસિસ્ટન્ટ ખેંગારભાઈ અને દિનેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. તાલીમ બાદ ખેડૂતોના પ્રશ્નોને સાંભળી યોગ્ય ઉકેલ આપવા સાથે કાર્યક્રમને વિશ્વસનીય અને ઉપયોગી બનાવવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ