

અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવનચરિત્ર 'ચુનૌતિયાં મુઝે પસંદ હૈ'ના ગુજરાતી અનુવાદનો વિમોચન સમારંભ અમદાવાદ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે આનંદીબહેન પટેલની સંઘર્ષશક્તિ અને નેતૃત્વને બિરદાવતા જણાવ્યું હતું કે આનંદીબહેનનું જીવન સંઘર્ષશક્તિના બળ પર આગળ વધવાની એક પ્રેરણાદાયી ગાથા છે. આ પુસ્તકમાં તેમની જીવનયાત્રાના પ્રેરણાબિંદુઓનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આનંદીબહેને જાહેર જીવનમાં તેમના સંઘર્ષ અને મજબૂત નેતૃત્વ થકી સંગઠન નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આનંદીબહેનનું આ પુસ્તક અનેક વાચકોના જીવનમાં પ્રેરણા આપવાનું કામ કરશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પોઝિશન માટે નહિ પરંતુ પર્પઝ માટે કામ કરનારા નેતાઓમાંના એક આનંદીબહેન છે. તેઓ જનહિત માટે એકસૂત્ર સાથે કામ કરતાં રહ્યાં છે. આનંદીબહેને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, સંસદ સભ્ય અને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી છે. નિમ્ન અને મધ્યમ વર્ગના સામાન્ય પરિવારમાંથી આવતા આનંદીબહેન પટેલ લોકો માટે સતત સંઘર્ષ કરીને આગળ વધ્યાં છે. શિક્ષકથી લઈને સર્વોચ્ચ પદ સુધીની તેમની યાત્રા ભારતીય નારીશક્તિની દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
અમિતશાહે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેનની સક્રિયતાની પ્રશંસા કરીને જણાવ્યું કે, 85 વર્ષની ઉંમરે પણ એક યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી આનંદીબહેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યાં છે, જે સૌના માટે ગૌરવનો વિષય છે. તેમના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વ્યવસ્થા અને સમાજ જીવનમાં ગુણાત્મક સુધારો લાવવાના પ્રયાસો થયા છે. તેમના પરિશ્રમથી ઉત્તર પ્રદેશની લગભગ બધી જ યુનિવર્સિટીઓએ યુજીસી રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે.
આ પ્રસંગે પોતાની અનુભવગાથા વર્ણવતા આનંદીબહેને જણાવ્યું હતું કે દુષ્કાળના વર્ષોમાં ગુજરાતમાં ગામડે ગામડે ફરી રહ્યા હતા ત્યારે ભાજપના એ વખતના અગ્રણીઓએ ભાજપમાં જોડાવા જણાવ્યું તથા મોટી જવાબદારી સોંપી જેણે તેમનું રાજકીય ઘડતર કર્યું હતું. ભાજપના ભય ભૂખ અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના સૂત્રને સાકાર કરવા માટે તેમણે લીધેલા મક્કમ નિર્ણયોની પણ તેમણે વિગતે વાત કરી હતી. ત તેમણે જણાવ્યું હતું કે મારું જે કંઈ ઘડતર થયું તે પાર્ટી દ્વારા થયું છે. આ પુસ્તક વેચાણના તમામ પૈસા દીકરીઓના શિક્ષણ માટે વપરાશે એવું તેમણે જાહેર કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આનંદીબહેન પટેલની અડગ નિર્ણયશક્તિ, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહે તરીને પણ જનહિતનાં કાર્યો કરવાના સ્વભાવથી આપણે સૌ વાકેફ છીએ. આનંદીબહેન કુશળ સંગઠક ઉપરાંત ઉમદા શાસનકર્તા પણ પુરવાર થયાં છે. મુખ્યમંત્રી તરીકેની તેમની નિષ્ઠા અને કાર્યક્ષમતા ગુજરાતના લોકોના હૃદયમાં આજે પણ અંકિત છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કુશળ સંગઠક તરીકે આનંદીબહેને સદસ્યતા અભિયાનમાં 14 લાખ લોકોને પક્ષના સભ્ય તરીકે સફળતાપૂર્વક જોડેલા, એ કિસ્સો પણ યાદ કર્યો હતો.
શિક્ષિક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનારાં આનંદીબહેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવેલી, એવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એક ધારાસભ્ય, મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળસંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસનાં અનેક ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરેલાં છે. મુખ્યમંત્રી તરીકે આનંદીબેહેને હંમેશાં ગુજરાતની અસ્મિતા અને પ્રગતિને સર્વોપરિ રાખી હતી.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આનંદીબહેને જે વિભાગમાં કામ કર્યું તેમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી. મહેસૂલ મંત્રી તરીકે, મહિલા અને બાળવિકાસ મંત્રી તરીકે કે પછી શિક્ષણ મંત્રી તરીકે તેમણે પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવેલો.
વિમોચન સમારોહમાં ભગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે, આનંદીબહેન પટેલની જીવનકથાનું પ્રકાશન એ ધર્મને પ્રકાશિત કરતી એક ઘટના છે. તેમણે બહેનને નારીશક્તિનું જીવંત ઉદાહરણ ગણાવતા કહ્યું કે, એક શિક્ષિકા તરીકે શરૂઆત કરીને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને આજે 85 વર્ષની ઉંમરે પણ ઉત્તર પ્રદેશના સક્રિય રાજ્યપાલ તરીકે તેમનો ઉત્સાહ સચવાયેલો છે. તેમનો આ પ્રેરક જીવન વેદોના આદેશ સાર્થક કરે છે. આનંદીબહેનનું આ પુસ્તક મુશ્કેલીઓનો સામનો કરીને તેમાંથી આનંદ મેળવવાની પ્રેરણા આપે છે.
ભાઈ શ્રી રમેશ ઓઝાએ આનંદીબહેનના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી, અને આ પુસ્તકનો ખૂબ પ્રચાર-પ્રસાર થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ સમારોહમાં આનંદીબહેનનાં સંતાનો સંજય પટેલ તથા અનાર પટેલે ભાવપૂર્ણ સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે આ માતૃશક્તિની વંદનાનો પ્રસંગ છે. અનાર પટેલે માતા આનંદીબહેનના અભય અને સાહસના ગુણોની વાત કરીને પોતાના સગાભાઈના ઘરમાં બાળલગ્ન રોકવા પોલીસને બોલાવવાની ઘટના યાદ કરી હતી.
વિમોચન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, કડી સર્વ વિદ્યાલયના વડા મનુભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, લખનૌ લોકભવનના અધિક મુખ્ય સચિવ સુધીર બોબડે ઉપરાંત શૈક્ષણિક
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ