પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.). વિશ્વભરમાં દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત પોરબંદરમાં પણ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ખીજડી પ્લોટ ગાર્ડન પોરબંદર ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોકડાયરામાં જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે.પ્રજાપતિ, ડેપ્યુટી કમિશ્નર મનન ચતુર્વેદી, ગ્રામ્ય મામલતદાર ખીમભાઈ મારુ, શહેર મામલતદાર ભરતભાઈ સંચાણીયા, રામદેવભાઈ મોઢવાડીયા, હિરલબા જાડેજા, રાજભા જેઠવા, અનિલભાઈ કારીયા, ડો. સુરેશભાઈ ગાંધી વગેરે મહાનુભાવો અને સાહિત્યપ્રેમીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ પોતાની માતૃભાષા દિવસની ઉજવણી કરે છે અને આ દિવસ ઉજવવાનો સૌથી પહેલો વિચાર બાંગ્લાદેશમાંથી આવ્યો હતો. યુનેસ્કોના સંમેલનમાં 17/11/1999ના દિવસે આયોજિત આ સંમેલનમાં માતૃભાષા દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. 1952માં તત્કાલિન પૂર્વ પાકિસ્તાનની રાજ્યભાષામાંની એક ભાષા બાંગ્લા હતી તેથી ભાષા પ્રેમીઓ દ્વારા બાંગ્લાને રાજ્યભાષાઓમાંની એક ભાષા બનાવવાની માંગણી સાથે રેલીનું આયોજન કર્યું હતું. ત્યારે પોલીસ દ્વારા આ રેલી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી બાંગ્લાદેશમાં 21 ફેબ્રુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવી માતૃભાષા અને સંસ્કૃતિ માટે પ્રેમ અને આદરના ભાવ સાથે મનાવવામાં આવતો. 1956માં પાકિસ્તાનના બંધારણમાં બંગાળી અને ઉર્દુને પાકિસ્તાની રાજ્યભાષા તરીકે જાહેર કરવામાં આવી હતી. 1972માં બાંગ્લાદેશના બંધારણમાં જાહેર કરવામાં આવ્યું કે પ્રજાસત્તાક બાંગ્લાદેશની ભાષા બંગાળી હશે અને ત્યારથી યુનેસ્કોએ મંજૂરી આપી કે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે. આમ સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ મુજબ હાલ અંદાજે 6900 જેટલી ભાષાઓ અસ્તિત્વમાં છે જેમાંથી ભારતમાં 1650 કરતા પણ વધારે ભાષાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. માતૃભાષા મહોત્સવ કાર્યક્રમમાં નવરંગ સંસ્થાના પ્રમુખ લાખણશી ગોરાણિયાએ સ્વાગત પ્રવચન અને વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડો. સ્નેહલ જોષીએ જીવનમાં માતૃભાષાનું મહત્વ સમજાવતાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે લોકો દિનપ્રતિદિન માતૃભાષાથી વિમુખ થતા જાય છે જે આપણા સૌ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે, આવા સમયે પોરબંદરમાં નવરંગ જેવી સંસ્થા ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા દરેક કલાના જતન માટે યોગદાન આપી રહી છે, ત્યારે સમગ્ર પોરબંદરવાસીઓનો સહકાર ઈચ્છનિય છે. માતૃભાષા મહોત્સવ અંતર્ગત યોજાયેલ લોકડાયરામાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવીએ માતૃભાષા અને લોકસાહિત્ય વિશે પોતાની આગવી શૈલીમાં અનેક પ્રસંગો રજૂ કરીને લોકોને સાહિત્યની સફર કરાવી પોતાની ઉત્તમ રચનાઓ દ્વારા માતૃભાષાને લાડલડાવતા શબ્દપુષ્પો અર્પણ કર્યા હતા. બાળ કલાકાર દિવ્ય ગોસ્વામીએ કાર્યક્રમની શરૂઆતમાં સુંદર ભજન રજૂ કરીને લોકડાયરાની વિધિવત રીતે શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત બાળ કવિ દર્શિલ ગોરાણીયાએ પોતાની આકર્ષક શૈલીમાં રાધા ક્રિષ્નની એક સુંદર સાહિત્ય રચના રજૂ કરતાં ઉપસ્થિત સૌ સાહિત્ય રશીકોએ તાળીઓના ગળગળાટથી આ નાનકળા બાલ કવિને વધાવી લીધો હતો.
આ માતૃભાષા મહોત્સવ નિમિત્તે આયોજિત લોકડાયરાના કાર્યક્રમમાં પોરબંદરના સૌ કલા અને સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકડાયરાની મોજ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક મિલન પાણખાણીયા, જય પંડ્યા, શુભમ સામાણી તથા નવરંગ સંસ્થાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય પંડ્યા અને આભારવિધિ મિલન પાણખાણીયાએ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya