લોલાડા ગામે દુઃખદ ઘટના: તળાવમાં ડૂબી જતા, બે માસુમ બહેનોએ ગુમાવ્યું જીવન
પાટણ, 27 મે (હિ.સ.) પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે મંગળવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી, જેમાં નાયક પરિવારની બે માસુમ દીકરીઓ શિલ્પા અને જયશ્રી તળાવમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટી હતી. કપડા ધોવા ગયેલા પરિવાર સાથે બન્ને બાળકી તળાવ પર ગ
લોલાડા ગામે દુઃખદ ઘટના: તળાવમાં ડૂબી જતા બે માસુમ બહેનોએ ગુમાવ્યું જીવન


લોલાડા ગામે દુઃખદ ઘટના: તળાવમાં ડૂબી જતા બે માસુમ બહેનોએ ગુમાવ્યું જીવન


પાટણ, 27 મે (હિ.સ.)

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામે મંગળવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના ઘટી હતી, જેમાં નાયક પરિવારની બે માસુમ દીકરીઓ શિલ્પા અને જયશ્રી તળાવમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટી હતી. કપડા ધોવા ગયેલા પરિવાર સાથે બન્ને બાળકી તળાવ પર ગઈ હતી અને ગરમીથી રાહત મેળવવા ન્હાવા પડતાં તળાવના ઊંડા ભાગમાં પહોંચી જતા ડૂબી ગઈ હતી.

ઘટનાના દ્રશ્યો જોઈ મહિલાઓએ બુમાબુમ કરી, જેને પગલે આસપાસના લોકો તળાવ તરફ દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ પ્રયત્નો કર્યા અને બંને બાળકીના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. તેમનાં મૃતદેહોને તુરંત શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ બંનેના મોતની પુષ્ટિ કરી હતી.

ઘટનાની જાણ થતાં શંખેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર લોલાડા ગામ આ દુઃખદ ઘટના બાદ શોકમાં ગરકાવ થયું છે, જ્યારે નાયક પરિવાર પર આ ઘટના વજ્રઘાત સમાન બની છે.

આ દુર્ઘટનાએ તળાવ નજીક સુરક્ષા વ્યવસ્થાના અભાવ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોના મતે તળાવ પર ન્હાવા માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીના પાટિયા ન હોવાને કારણે આવી દુર્ઘટનાઓની સંભાવના વધુ રહે છે. તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande