સુરત, 28 મે (હિ.સ.)-ગુજરાત સરકારની મિશન મંગલમ (NRLM) યોજના અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામમાં રહેનારી દસ બહેનોની જીંદગીમાં બદલાવની નવી લહેર ફેલાઈ છે. પારદેવી માં સખી મંડળની મહિલાઓએ ઘરઆંગણે મસાલા ઉદ્યોગ શરૂ કરી writing₹1 લાખથી વધુ માસિક વ્યાપાર કરી લખપતિ દીદી તરીકે પોતાનું સ્થાન બનાવી લીધું છે.
મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે શરૂ થયેલી મિશન મંગલમ યોજનાના થકી 2020માં પારદેવી માં સખી મંડળની નોંધણી કરવામાં આવી હતી. શરૂઆતમાં તેઓએ નાની બચત કરી હતી અને મસાલા ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે મળીને મસાલા ઉદ્યોગ અંગેની માહિતી અને તાલીમ મેળવી.
તાલીમ બાદ મહિલાઓને સરકાર તરફથી ₹6 લાખની લોન મળી. જેના આધારે ઘંટી, મિક્સર, પેકિંગ મશીન, ડિજિટલ વજનકાંટો અને કાચા માલસામાન જેવી જરૂરી વસ્તુઓ ખરીદવામાં આવી. મંડળની બહેનો ઘેરથી જ હળદર, ચા મસાલો, ધાણા-જીરૂ, લાલ મરચું, મેથી, વરીયાળી, એલચી અને રાય સહિત 20 પ્રકારના શુદ્ધ મસાલાઓ બનાવે છે.
મસાલામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોવાથી બજારમાં ખુબ માંગ રહે છે. બહેનો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર પણ કરે છે. આજના દિવસે સ્થાનિક લોકો ઉપરાંત ન્યુઝીલેન્ડ, થાઈલેન્ડ અને કેનેડા જેવી વિદેશી જગ્યાઓથી પણ ઓર્ડરો મળી રહ્યાં છે. માલ પેક કરીને કુરિયરથી વિદેશ મોકલવામાં આવે છે.
સખી મંડળને સરકાર દ્વારા અત્યારસુધીમાં ₹15,000નું રિવોલ્વિંગ ફંડ, ₹6 લાખની કેશ ક્રેડિટ લિમિટ અને ₹2500 સ્ટાફફંડની સહાય મળી છે. આજના દિવસે દરેક બહેનો દરમહિને સરેરાશ ₹15,000 જેટલી આવક મેળવી રહી છે.
અદાણી ફાઉન્ડેશનના ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું કે, “2021થી અમે સખી મંડળ સાથે કાર્યરત છીએ. મસાલા ઉદ્યોગના વિસ્તરણ માટે અમે CRC ફંડ થકી ₹1.90 લાખના ખર્ચે ખાસ કેબિન બનાવી આપી છે જ્યાં હવે મહિલાઓ મસાલાનું ઉત્પાદન અને વેચાણ બંને કરે છે.”
મંડળની પ્રમુખ ભાવનાબેન પટેલે જણાવ્યું કે, “દરિયાઈ કાંઠાના ગામમાં રહેતા થતા કદી વિચાર્યું નહોતું કે એક દિવસ અમારું પોતાનું વ્યવસાય હશે. સરકાર અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આજ દિનની સિદ્ધિ શક્ય બની છે.”
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે