ગાંધીનગર, 29 મે (હિ.સ.) : સમસ્ત રાજપુત સમાજ ગાંધીનગર દ્વારા મહારાણા પ્રતાપ ની 485મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સેક્ટર 12 ખાતેથી પેથાપુર સુધી ભવ્ય મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન સમારોહ પેથાપુર ખાતે યોજાયો હતો.
મહારાણા પ્રતાપની તિથિ મુજબની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરના તમામ રાજપૂત સમાજના સંગઠનો દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી રાજપૂત ભવન સેક્ટર-12થી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.જે આગળ પથિકાશ્રમ થઈ ઘ-5, ઘ-6 અને ઘ-7 થઈ પેથાપુર સ્થિત મહારાણા પ્રતાપ ચોક પર પહોંચી હતી.
પેથાપુર ખાતે ગાંધીનગરના રાજપુત સમાજ દ્વારા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત તથા રાજ્ય સભા સાંસદ કેસરીસિંહજીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજપૂત સમાજની દીકરીઓ અને યુવા દ્વારા તલવારબાજી અને આદિવાસી સમાજ દ્વારા નૃત્ય રજૂ કરી આ અવસરને વધુ ખાસ બનાવવામાં આવ્યો હતો.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત તથા રાજ્ય સભાના સંસદ કેસરીસિંહ અને સમાજના આગેવાનો દ્વારા પેથાપુર સર્કલ પર મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમની જન્મ જયંતી નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે આ અવસરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ આપણા સૌના, આપણા સમગ્ર ભારતનાજ નહીં પણ સમગ્ર વિશ્વમાં જેમનું ઉદાહરણ આપી શકાય તેવા મહાન વ્યક્તિ હતા. મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિએ આપણે સૌએ સાથે મળીને હજારો વર્ષનો ઇતિહાસ સાચવ્યો છે. મહારાણા પ્રતાપ એક શિરોમણી રાજપુત સમાજ માટેજ નહીં, પરંતુ તેઓ તમામ સમાજ અને સનાતન ધર્મ માટે લડાઈ લડ્યા હતા. તેથી તેમને યાદ કરવા કોઈ એક સમાજ નહીં પણ અહીંયા તમામ સમાજના લોકો આજે ઉપસ્થિત છે. અને તેમના જન્મોત્સવની ઉજવણી આખા દેશમાં લોકો કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાસ કરીને ક્ષત્રિય સમાજ આ ઉજવણી ભવ્ય રીતે હંમેશા કરવામાં આવે છે. આ ઉજવણી પાછળ મહારાણા પ્રતાપના જીવન ,તેમના સમર્પણની સમાજને યાદ આપવાનો હેતુ મુખ્ય છે.તેમણે સમાજ અને સનાતન હિન્દુ ધર્મ માટે જે સમર્પણ કર્યું, ત્યાગ કર્યો હવે એને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું છે.મહારાણા પ્રતાપ માત્ર ક્ષત્રિયો માટે નહોતા જીવ્યા, એ દેશ માટે જીવ્યા હતા.
રાજ્ય સભાના સંસદ કેસરીસિંહ
આજે મહારાણા પ્રતાપ ની 485 મી જન્મ જયંતિ નિમિત્તે, પેથાપુર મુકામે સમાપન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મંત્રી બળવંતસિંહજી રાજપુત અને તમામ ભાઈઓ બહેનો સૌને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, યુવા શક્તિ દ્વાર આપણા દેશમાં આજે ભાગીદાર વિકાસ થઈ રહ્યો છે.અને દુનિયાના સામે નજરમાં નજર મિલાવીને કામ કરી રહ્યા હોય ત્યારે તેનું એક જ કારણ છે, કે આપણ પૂર્વજોએ આ માટે બલિદાન દીધું છે. ત્યારે આપણે આ બધા કામો નિષ્ઠાથી કરી રહ્યા છીએ . સનાતન ધર્મનું જેમણે રક્ષણ કર્યું છે, એવા મહારાણા પ્રતાપ ને આપણે બધા વંદન કરીએ છીએ.જ્યારે લૂટેરાઓ રાજસ્થાન , ગુજરાત અને દેશના અન્ય ખુણે જ્યારે તબાહી મચાવી રહ્યા હતા, ત્યારે વીર શિરોમણી મહારાણા પ્રતાપ જેવા વ્યક્તિઓએ આ દેશ માટે બલિદાન દીધું છે. એ જેને આપણે આજે યાદ કરતા હોય છે. ત્યારે ખરેખર આ આખું આયોજન કરવા માટે સમાજના તમામ વડીલો સમાજ તમામ આગેવાનો નો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આપણે આવનારા સમયમાં આપણી યુવા શક્તિ, આપણી યુવા પેઢીને શૂરવીરોના બલિદાનથી પરિચય કરાવવાની જવાબદારી આપણી છે.
આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, દેસાઈ સમાજનું રતન હેમરાજભાઈ દેસાઈ, ગુજરાત ભીલ સમાજના પ્રમુખ એન એમડી રાણા, ગાંધીનગર રાજપૂત સમાજના આગેવાનો, મહાકાલ સેના સભ્યો, જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના સભ્યો, કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજના સભ્યો, મહિલા રાજપૂત સમાજના સભ્યો સહિત સમાજના આગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ