જૂનાગઢ 29 મે (હિ.સ.) જૂનાગઢ ખાતે આજે, ૩૧- મે વિશ્વ તમાકુ નિષેધ દિન -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના અધિકારી - કર્મચારીઓનો ઓરલ કેન્સર સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કે.જે. હોસ્પિટલના સહયોગથી જિલ્લા કક્ષાએ આયોજિત ઓરલ કેન્સર સ્ક્રિનિંગ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા પણ સહભાગી બન્યા હતા. આ તકે તેમણે કેન્સર રોગના નિષ્ણાંત તબીબો સાથે સંવાદ સાધી ખાસ કરીને સૌરાષ્ટ્રના સંદર્ભમાં કેન્સરના કેસ વિશે જાણકારી મેળવી હતી. આ સાથે વંશાનુગત અને મહિલાઓમાં કેન્સરના પ્રમાણ વિશે પણ વિગતવાર જાણકારી મેળવી હતી.
કલેકટરએ કેન્સર કારક તમાકુનું વ્યસન દૂર થાય તે માટે લોકોમાં જે સતત ચાવવાની આદત છે, તેની જગ્યાએ લોકો વિકલ્પરૂપે વરીયાળી પાવડર, એલચી વગેરે સ્વાસ્થ્યપ્રદ ખાદ્યચીજો ચાવવાની ટેવ વિકસે તે માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટરએ ખાસ બાળકો તમાકુ સહિતના વ્યસનો થી દૂર રહે તે માટે વિશેષ જનજાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ માટે તેમણે શિક્ષણ, આરોગ્ય, આઈસીડીએસ સહિતના વિભાગોની જરૂરી પગલાઓ લેવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ ઓરલ કેન્સર સ્ક્રિનિંગના કાર્યક્રમમાં કેન્સર રોગના નિષ્ણાંત તબીબોની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, એસ.પી. કચેરી સહિતની જુદી જુદી કચેરીઓના અધિકારી કર્મચારીઓએ લાભ મેળવ્યો હતો. કેમ્પમાં જિલ્લા પંચાયત કચેરી,કલેકટર કચેરી અને એસ.પી કચેરીના કુલ ૧૧૧ અધિકારી/કર્મચારીઓનું ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા ડાયાબીટીસ અને બ્લડપ્રેસરની તપાસ કરવા આવી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૨૫ના ૩૧- મે વિશ્વ તમાકુ નિષેધ દિન ની થીમ Unmasking The Appeal Of Tobacco And Nicotine Products આપવામાં આવેલ છે. તમાકુ થતું નુકશાન - તમાકુનો ઉપયોગ એ વિશ્વમાં અટકાવી શકાય તેવી માંદગી અને મૃત્યુનું સમગ્ર વિશ્વમાં સૌથી મોટું કારણ છે.તમાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે વિશ્વમાં ૮૦ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે ૧૨ લાખથી વધુ લોકો તમાકુના સેવનને કારણે મૃત્યુ પામે છે, આ સંખ્યા એઇડ્સ, ટીબી અને મેલેરિયા ત્રણેય રોગોથી મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા કરતા પણ વધુ છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ મૃત્યુ પામતા લોકોની સંખ્યા ૩૨૦૦ થી વધારે છે. આં ભારતમાં તમાકુના સેવનથી દર એક મીનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે. મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના લીધે થાય છે. તમાકુનું સેવન કરવાથી લકવો, હૃદયરોગ, ફેફસાના રોગ, અંધત્વ, નપુસકતા અને અન્ય રોગો પણ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ના અમલીકરણ માટે ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૭- ૦૮થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અલ્પેશ સાલવી, જિલ્લા આરોગ્ય તંત્રના ડો. હિમાંશુ લાખાણી સહિતના અધિકારી - ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ