સુરત, 30 મે (હિ.સ.)-શહેરના પુણા વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. ત્યક્તા રેલવેમાં મુસાફરી દરમિયાન ભરૂચના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે પોતે પરિણીત હોવા છતાં પણ પોતાની ઓળખ કુવારા તરીકે આપી મહિલા સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ ચાર વર્ષ અગાઉ મહિલા સાથે લગ્ન કરી તેની સાથે વસવાટ કરી શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ચાર વર્ષના સમયગાળા દરમિયાન અલગ અલગ કુલ રૂપિયા 12.95 લાખની ત્રણ લોન મેળવી લઈ પૈસા ચાઉં કરી પલાયન થઈ ગયો હતો. જેથી બાદમાં ભોગ બનનાર ત્યક્તાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની અને તેનું શારીરિક શોષણ થયું હોવાની જાણ થતા પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે બળાત્કાર સાથે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પુણા વિસ્તારમાં રહેતી ત્યક્તતા સુરત મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. આ ત્યક્તા મૂળ ભરૂચની રહેવાસી હોવાને કારણે અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરી સુરત આવતી હતી. આ દરમિયાન ભરૂચ થી જ સુરત આવતા ભાનુપ્રસાદ રમેશભાઈ સોલંકી (રહે બી 4 રઘુવીર ટેનામેન્ટ રો હાઉસ કસક ગરનાળા પાસે ભરૂચ) ના સંપર્કમાં આવી હતી. ટ્રેનમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. આ દરમિયાન ભાનુપ્રસાદ એ પોતાની ઓળખ કુવારા યુવક તરીકે આપી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થયા બાદ ફોન પર અવારનવાર વાતચીત કરતા હતા. આ દરમિયાન ભાનુપ્રસાદ એ તેને પ્રેમ કરતો હોવાનું કહીને તેને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ ચાર વર્ષ અગાઉ ભાનુપ્રસાદ સોલંકી ત્યક્તા સાથે લગ્ન કરી સુરતના પુણા વિસ્તારમાં તેની સાથે રહેતો હતો અને લગ્ન જીવન દરમિયાન પોતે પરણીત હોવાનું પણ છુપાવ્યું હતું. અને પરણીતાના નામ પર અલગ અલગ કુલ રૂપિયા 12.95 લાખની ત્રણ લોન લઈ પૈસા પોતાની પાસે રાખી લીધા હતા. જોકે ત્યારબાદ ભાનુપ્રસાદ સોલંકી મહિલાને મૂકી પરત ભરૂચ ફરાર થઈ ગયો હતો. જેથી બાદમાં મહિલાને ભાનુપ્રસાદ પહેલેથી જ પરિણીત હોવાનું માલુમ પડતા તેમણે પુણા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદને આધારે ભાનુપ્રસાદ સોલંકી સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે