ગાંધીનગર, 30 મે (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા- 2025'ની શરૂઆત, ધોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ, અમદાવાદથી કરવામાં આવી હતી.
ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રાકૃતિક કૃષિ અને જળ સંરક્ષણની પદ્ધતિઓ અને કૃષિના અદ્યતન સંશોધનો અપનાવવા સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને આહ્વાન કર્યું હતું. ધારાસભ્યએ અમદાવાદ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ખરીફ 2025ના કૃષિ રથને લીલી ઝંડી આપીને સમગ્ર જિલ્લામાં કૃષિ રથયાત્રાનો શુભેચ્છા પાઠવી પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં કે. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, અમદાવાદ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વ વિશે ઉદબોધન કરવામાં આવ્યું હતું. વર્ષા અલોક, મહિલા ઉદ્યમીએ મશરૂમની વૈજ્ઞાનિક ખેતી બાબતે સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને માહિતીગાર કર્યા હતા. ડૉ. સમાધાન બાગુલ, વરિષ્ઠ વૈજ્ઞાનિકે ઔષધીય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપી હતી.
આ કૃષિ રથ યાત્રા અમદાવાદ જિલ્લાના નવ તાલુકાની 75 પંચાયતોનાં ગામોમાં ફરીને કૃષિ જાગરણ અભિયાન ચલાવશે. આ પ્રસંગે ઇફકો, ધોળકા દ્વારા ડ્રોનથી ખેતી પાકોમાં છંટકાવનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એચ.આઈ. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, અમદાવાદ, કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. બી.એચ. પંચાલ, નાયબ બાગાયત નિયામક વાળા, વિષ્ણુભાઈ પરમાર, કલ્પેશભાઈ સોલંકી, રણજીતસિંહ ચાવડા અને અરણેજ, જવારાજ, લોલીયા, વેજલકા અને કોઠ ગામના સરપંચઓ અને અરણેજ કેન્દ્રની આજુબાજુનાં ગામોનાં 190 ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ