સુરત, 10 જૂન (હિ.સ.)- સુરત શહેરના હજીરા વિસ્તારમાં ફરી એકવાર આગની દુર્ઘટનાએ ત્રાસ મચાવ્યો છે. શહેરના વિકાસ રોડ નજીક આવેલ વિકાસ રોડ લાઇન્સના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે વિસ્તૃત ધુમાડાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અગ્નિદુર્ઘટનાની જાણ થતાં તત્કાળ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે શરૂઆતમાં સ્થાનિકોએ આગળ વધીને કાબૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોડાઉનમાં મુકાયેલ જૂના સ્ક્રેપના કારણે આગ ઝડપથી ફેલાઇ ગઈ.
ફાયરટીમે પાણીના મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો. નોંધનીય છે કે ગોડાઉન નજીકમાં દામકા પેટ્રોલ પંપ આવેલી હોવાથી આગ વધુ ફેલાત તો વધુ મોટા નુકસાનની શક્યતા હતી, જે ફાયરની ઝડપી કાર્યવાહીથી ટળી ગઈ. જોકે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થયો છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
સુરતમાં છેલ્લાં કેટલાક મહિનાઓમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. મે મહિનામાં પર્વત પાટિયા વિસ્તારની ટેક્સટાઇલ માર્કેટમાં પણ ભીષણ આગ લાગી હતી જેમાં દસથી વધુ દુકાનો આગમાં બળીને ખાક થઈ હતી.
આ ઘટના વધુ એક વખત સુરતના ગોડાઉન અને માર્કેટ વિસ્તારોમાં આગ જેવી દુર્ઘટનાનો રીસ્ક અને સુરક્ષા વ્યવસ્થાની અસલ પર અવશ્યક ચિંતનની જરૂરિયાત દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે