સુરત, 10 જૂન (હિ.સ.)- ગુજરાતમાં રસ્તા અકસ્માતોના કિસ્સા રોજબરોજ વધી રહ્યાં છે. આજે વધુ એક ગંભીર અકસ્માત દાહોદ-સુરત રૂટની એસટી બસ સાથે થયો હતો, જેમાં 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને એક મુસાફર બસની સીટમાં ફસાઈ જતા ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, દાહોદથી સુરત આવતી ST બસ જ્યારે કામરેજ નજીક નેશનલ હાઈવે નં. 48ના સર્વિસ રોડ પર પહોંચી, ત્યારે ત્યાં પાર્ક કરેલી રેતી ભરેલી ટ્રક પાછળ જઈ અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગમાં બેઠેલા એક મુસાફર ફસાઈ ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ મશીનની મદદથી સીટ કાપી તેને બહાર કાઢ્યો.
બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા, જેમાંથી 15થી વધુને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના પ્રાથમિક તારણ મુજબ બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને વાહનોના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે