મોડાસા, 13 જૂન (હિ.સ.) અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ના દુઃખદ ક્રેશમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુંગરવાળા ગામની 27 વર્ષીય જયશ્રીબેન રાધે પટેલનું નિધન થયું છે. આ ઘટનાએ સમગ્ર પરિવાર, ગામ અને સમાજને શોકમાં ડુબાડી દીધો છે.
જયશ્રીબેન, જેમના જાન્યુઆરી 2025માં લગ્ન થયા હતા, તેઓ પોતાના પતિ સાથે લંડનમાં નવું જીવન શરૂ કરવા અનેક સપનાઓ સાથે જઈ રહ્યા હતા. લગ્ન બાદ તેઓ પ્રથમ વખત લંડન જઈ રહ્યા હતા, જ્યાં તેમને નોકરીની તક પણ મળી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તેમના પતિ લંડનમાં રહેતા હતા, અને જયશ્રીબેન તેમની સાથે નવો સંસાર વસાવવા આતુર હતા. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું.આ દુઃખદ સમાચારથી જયશ્રીબેનના પિતાની તબિયત લથડી હોવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવાર આ અણધારી આફતથી શોકમાં ગરકાવ થયો છે. જયશ્રીબેનના નિધનના સમાચાર મળતાં જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ દુઃખની ઘડીમાં મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલ, મામલતદાર ગોપી મહેતા, ટીડીઓ તેમજ માહિતી કચેરીની ટીમે જયશ્રીબેનના પરિવારજનોની મુલાકાત લઈ, તેમને સાંત્વના પાઠવી હતી. અધિકારીઓએ પરિવારને આ દુઃખદ ઘડીમાં તમામ શક્ય સહાયનું આશ્વાસન આપ્યું છે.
જયશ્રીબેનના અકાળ અવસાનથી મોડાસા અને અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી વ્યાપી છે. તેમના નમ્ર સ્વભાવ અને સદ્ગુણોથી તેઓ ગામમાં લોકપ્રિય હતા. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ