પોરબંદર, 13 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરના 3 યુવાનને વિદેશ મોકલવાની અને નોકરી આપવાની લાલચ આપી એક લાખથી વધુ રૂપિયાની છેતરપીંડી થયાની ફરિયાદ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે.
છેલ્લા ઘણા સમય થી લોકો વિદેશ જવાની ઘેલછામાં છેતરપિંડીનો ભોગ બની લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે.ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા અનિલ અર્જુનભાઈ મસાણી નામના યુવાનને આણંદ ખાતે રહેતા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર મહેશભાઈ રાણા નામના શખ્સે વિદેશ મોકલવાની લાલચ આપી બાહેધરી પત્ર લખી અનિલ પાસે થી પાસપોર્ટ અને એક લાખ રૂપિયા લીધા બાદ અનિલને વિદેશ નહીં મોકલેલ આ ઉપરાંત અનિલના ભાઈ શૈલેષ મસાણી તથા જયેશ જુગી ને નોકરી આપવાની લાલચ આપી 20,000 રૂપિયા લીધા હતા.
આ રીતે યુવાનો પાસે થી કુલ 1,20,000 રૂપિયા રોકડા લીધા હતા. ત્યાર બાદ જીતેશ રાણાને વિદેશ ન મોકલતા અવાર નવાર જીતેશ પાસે પૈસાની માંગણી કરતા જીતેશે પૈસા ના આપતા અનિલ મસાણી એ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે જીતેશ રાણા વિરુદ્ધ 1,20,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી કરનાર જીતેશની શોધખોળ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya